નવી દિલ્હી, તા.23 : ભારતમાં તહેવારોની
મોસમ પહેલાં જ ખાંડનાં સળગેલા ભાવે સ્વાદને કડવો કરી નાખ્યો છે. સરકાર દાવો રહી છે
કે, પેટ્રોલમાં ઈથેનોલ મિશ્રણની નીતિનાં કારણે ભાવમાં
વધારો થઈ રહ્યો નથી. આમ છતાં ખાંડની સમસ્યા પેદા થઈ છે અને તેનાં હિસાબે ખાંડની નિકાસ
કરતો દેશ હવે આયાત કરવા જઈ રહ્યો છે. સરકારનાં કહેવા અનુસાર, હાલમાં ભાવ વધવા પાછળ અનેક કારણો અને પરિબળો જવાબદાર છે. આમાં ઘરેલું ઉત્પાદનનાં
અંદાજમાં ઘટાડો, તહેવારો પૂર્વે માગમાં વધારો, હવામાનનાં કારણે શેરડીનાં પાકને નુકસાન, વૈશ્વિક સ્તરે
પણ ખાંડનાં પુરવઠામાં તંગી અને ઉદ્યોગોનાં કેટલાક વર્ગ દ્વારા સટ્ટો અને સંગ્રહાખોરી
સહિતનાં કારણો સામેલ છે. ખાંડના ભાવમાં ઉછાળો ફક્ત ભારતમાં જ નહીં બલકે દુનિયાભરમાં
આ સંકટ વર્તાઈ રહ્યું છે. દુનિયામાં શેરડીની સૌથી મોટી ખેતી ધરાવતા બ્રાઝિલમાં પણ ખાંડનું
સંકટ ઘેરાયું છે. બ્રાઝિલ પોતાની શેરડીનો વપરાશ ઈથેનોલનાં ઉત્પાદન તરફ વાળવા માંડયું
છે. જેનાં હિસાબે બ્રાઝિલમાં ખાંડની તંગી પેદા થવા લાગી છે. બ્રાઝિલમાં ખાંડનાં ઉત્પાદનમાં
ત્રણ ટકાનો ઘટાડો સંભવ છે. એટલે કે આ વર્ષે ત્યાં ખાંડનું ઉત્પાદન 43 મિલિયન ટન જેટલું ઓછું થવાની
સંભાવના છે. બીજીબાજુ અલનીનોની અસર તળે બ્રાઝિલમાં શેરડીનાં ઉત્પાદનને ફટકો પડવાની
સંભાવના છે. જેનાં હિસાબે આખી દુનિયામાં આની અસર ઉભી થવા લાગી છે.