ગાંધીધામ, તા. 27 : લોન પેટે ગિરવે મૂકેલા સોનાના દાગીના આપવાનો વાયદો કરી નાણાં
મેળવી ગાંધીધામના ભેજાભાજે રૂા. 3.6 લાખની છેતરપિંડી કરી હોવાનો
ગુનો પોલીસ દફતરે નોંધાયો હતો. અમદાવાદની મીના ગોલ્ડ બાયર કંપનીની માધાપર પેટા શાખાના
મેનેજર લખમણભાઈ વાલજીભાઈ બત્તા (આહીર)એ હર્ષભાઈ કરશનભાઈ મહેશ્વરી (રહે. ગાંધીધામ) વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. ગત તા. 27/4/2026ના સાંજે પાંચ વાગ્યાથી તા.
28/4/2026ના સાંજે 6 વાગ્યાના અરસામાં બનાવ અંગે પોલીસે જણાવ્યું
હતું કે, આરોપી હર્ષે આઈ.આઈ.એફ.એલ. ગોલ્ડ ફાયનાન્સમાં ગિરવે મૂકેલું 48.43 ગ્રામ સોનું વેચાણ આપવાની વાત
કરી જરૂરી લખાણ અને બે ચેક આપ્યા હતા. આરોપીને દાગીના છોડાવવા માટે ફરિયાદીએ રોકડા
રૂા. 3,84,000 તથા ઓનલાઈન રૂા. બે હજાર આપ્યા હતા. લોન પેટેના નાણાં
ભરવા માટે બેન્કમાં પ્રક્રિયા પણ હાથ ધરાઈ હતી. અબલત્ત, થોડા જ સમયમાં તહોમતદારે ખાતામાં જમા કરાવેલી
રકમ અન્ય ખાતામાં મોકલી હતી. આરોપીએ જુદા-જુદા પ્રકારના બાંહેધરી લખાણો અને વાયદા કર્યા
બાદ પણ બાકી નીકળતા રૂા. 3.06 લાખ તથા સોનાના આભૂષણો
ન આપી વિશ્વાસઘાત કરી છેતરપિંડીના ગુનાને અંજામ
આપ્યો હતો. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ આરંભી છે.