ભુજ, તા. 27 : દેશમાં ક્રૂડતલની વણસેલી સ્થિતિને
ધ્યાને લઈ વડાપ્રધાને કરેલી અપીલને પગલે ભુજ સુધરાઈના પ્રમુખ કચેરીએ આવ-જા માટે દ્વિચક્રીનો
ઉપયોગ કરી રહ્યા છે ત્યારે કચેરીના અન્ય હોદ્દેદારો અને કર્મચારીઓ પણ આ પહેલ કરે તેવી
શહેરીજનોમાં લાગણી ફેલાઈ છે. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધનાં પગલે દેશમાં ક્રૂડતેલની
ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે, જેને પગલે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પેટ્રોલ-ડીઝલની સ્થિતિને ધ્યાને લઈ લોકોને કરકસરપૂર્વક
ઉપયોગ કરવા અપીલ કરી જેને માન આપી ભુજ શહેરના પ્રથમ નાગરિક શીતલભાઈ શાહ નગરપાલિકા ફોરવ્હીલને
બદલે દ્વિચક્રીથી આવ-જા કરતાં જાગૃતોએ આ પહેલને બિરદાવી હતી. જો કે, ભાજપના અન્ય અનેક સભ્યથી માંડી નેતાઓ હજુ પણ ટૂંકા અંતર માટે મોટી ગાડીઓનો
ઉપયોગ કરી રહ્યા હોવાનું જાગૃતોમાં ચર્ચાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યાં પ્રમુખ ખુદ દ્વિચક્રીથી આવતા હોય ત્યારે સુધરાઈના અન્ય હોદ્દેદારો અને
કર્મચારીઓએ પણ વડાપ્રધાનની અપીલને માન આપી બને ત્યાં સુધી દ્વિચક્રીથી અવર-જવર કરી
પેટ્રોલ બચાવવું જોઈએ તેવી લોકલાગણી ફેલાઈ છે.