ભુજ, તા. 5 : રાજ્યભરમાં
ભારે ચકચાર જગાડનારાં મુંદરા કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં મુખ્ય આરોપીઓ પૈકીનો પોલીસ
કર્મચારી શક્તિસિંહ યોગેન્દ્રસિંહ ગોહિલ ટૂંકાગાળાના 10 દિ'ના જામીન પર છૂટયા બાદ
હાજર ન થતાં નવો વળાંક સામે આવ્યો છે. ચકચારી આ કેસમાં મુખ્ય આરોપીઓ એવા શક્તિસિંહ,
અશોક લીલાધર કનાદ અને જયદેવસિંહ અજિતસિંહ ઝાલા બનાવ બાદ નાસી છૂટયા
હતા. ગુજરાત અને રાજ્ય બહારની પોલીસ તેની શોધખોળમાં હતી. 65 દિવસ
બાદ આ આરોપીઓ હાજર થયા હતા. જે-તે સમયે મુંદરા પોલીસના ડી-સ્ટાફના વડા એવા આરોપી
શક્તિસિંહ ગોહિલે થોડા સમય પૂર્વે ગુજરાત હાઇકોર્ટમાં વચગાળાના જામીનની માગણી
કરતાં તા. 24/12થી 2/1 સુધી 10 દિવસના
જામીન મંજૂર કર્યા હતા. 3/1ના પાલારા ખાસ જેલમાં હાજર ન
થતાં જેલરે ગુજરાત હાઇકોર્ટ,
અમદાવાદ, એડિશનલ સેશન્સ જજ ભુજ, પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસવડાને તા. 4/1ના આરોપી હાજર ન થયાની જાણ કરી આ
ફરાર આરોપીની ધરપકડ કરવા વિનંતી કરતો રિપોર્ટ કર્યો હતો. ખાસ સરકારી વકીલ અનિલભાઇ
આર. દેસાઇ દ્વારા પણ કોર્ટમાં રિપોર્ટ રજૂ કરાયો છે. આ કેસમાં મહત્ત્વના આરોપી એવા
શક્તિસિંહ, અશોક
કનાદ અને જયદેવસિંહ ઝાલાની દલીલો કોર્ટમાં ચાલુ છે, તેવા જ
તબક્કે આરોપી શક્તિસિંહ ફરાર થતાં કેસમાં નવો વળાંક આવ્યો છે.