મુંદરા, તા. 10 : દેશના યુવાધનને કોર્પોરેટ જગતમાં નવી તકો પૂરી પાડવા અદાણી ગ્રુપ અગ્રેસર બન્યું છે. તાજેતરમાં અદાણી સમર ઈન્ટર્ન પ્રોગ્રામ-2024 હેઠળ દેશભરના 22 રાજ્યમાંથી અદાણી જૂથમાં ઈન્ટર્ન્સની ભરતી કરવામાં આવી છે. જેઓ આગામી બે મહિનામાં પડકારરૂપ પ્રોજેક્ટ્સ પર કામ કરશે. આ વર્ષે અદાણી ગ્રૂપમાં 70 પેનલિસ્ટના સઘન પ્રયાસોથી 22 કોલેજોના 3,000થી વધુ ઉમેદવાર માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરી ટોચના 10 ટકા પસંદ કરવામાં આવ્યા છે. જેમાં એન્જિનિયરો અને નોન-એન્જિનિયર્સની ભરતી કરીને બેચને વૈવિધ્યસભર બનાવવામાં આવી છે. ભરતી પામેલ ઉમેદવારો દેશભરની અગ્રણી સંસ્થાઓ આઈઆઈએમ, આઈઆઈટી, એફએમએસ, માઈકા, ફોર સ્કૂલ, જીઆઈએમ વગેરેમાંથી પસંદ કરવામાં આવ્યા છે. યુવાઓને માત્ર નોકરી જ નહીં, તેમનું ઉજ્વળ ભાવિ સુનિશ્ચિત કરવા અદાણી ગ્રુપ દ્વારા પહેલ કરવામાં આવી છે. કેડર મેનેજમેન્ટના ગ્રૂપ હેડ અનિલ કલગા જણાવે છે કે `અમારો ઉદ્દેશ અદાણી જૂથ સાથે ઇન્ટર્ન્સની સફરને વધુ અસરદાર બનાવવાનો છે. તેમને બિઝનેસ લેન્ડસ્કેપમાં આંતરદૃષ્ટિ પ્રદાન કરી શકે તેવા લીડર્સ સાથે જોડવાનો છે. કેમ્પસ સ્ટ્રેટેજીના લીડ મનીષકુમાર જણાવે છે કે, `અમે ઔપચારિક અને અનૌપચારિક સહેલગાહને એકીકૃત કરીને ઇન્ટર્ન્સને યાદગાર અનુભવ પ્રદાન કરવા પ્રતિબદ્ધ છીએ.'દેશભરમાંથી આવતી યુવા પ્રતિભાઓને કેડર પ્રોગ્રામ હેઠળ ઓનબોર્ડ કરવામાં આવે છે. આ પ્રોગ્રામને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવ્યો છે. એએએલપી (અદાણી એક્સિલરેટેડ લીડરશીપ પ્રોગ્રામ), એએમટીપી (અદાણી મેનેજમેન્ટ ટ્રેઇની) અને ઇટી (એક્ઝિક્યુટિવ ટ્રેઇની). બે મહિનાની સફળ ઇન્ટર્નશિપ બાદ તેઓને મેરીટના આધારે પ્રી-પ્લેસમેન્ટ ઓફર કરવામાં આવશે. અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સ્ટ્રેટેજી અને બિઝનેસ ડેવલપમેન્ટ ટીમમાં ઇન્ટર્નશીપ કરતા આઈઆઈએમ ત્રિચીના અરૂણ ગોપાલ જણાવે છે કે `હું અહીં જે લીડર્સને મળ્યો તેઓ પુન:પ્રાપ્ય ઉર્જા ક્ષેત્રના પ્રણેતા બનવાનું વિઝન ધરાવે છે.'