• સોમવાર, 21 જુલાઈ, 2025

ભારત-યુરોપ મુક્ત વ્યાપાર સંધિ ઓક્ટોબરથી

નવી દિલ્હી, તા. 19 : અમેરિકા સાથે ટેરિફને લઈને ચાલી રહેલી વાતચીત વચ્ચે ભારત અને યુરોપીય મુક્ત વ્યાપાર સંઘ (ઈએફટીએ) વચ્ચે વ્યાપાર કરાર નક્કી થયો છે. ભારત અને ઈએફટીએ વચ્ચે મુક્ત વ્યાપાર કરાર પહેલી ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે. બંને પક્ષે 10 માર્ચ-2024ના વ્યાપાર અને આર્થિક ભાગીદારી સમજૂતી ઉપર હસ્તાક્ષર કર્યા હતા. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે શનિવારે જણાવ્યું હતું કે, મુક્ત વ્યાપાર સમજૂતી પહેલી ઓક્ટોબરથી અમલમાં આવશે. મુક્ત વ્યાપાર કરાર હેઠળ ભારતને આઈસલેન્ડ, લિકટેન્સ્ટીન, નોર્વે અને સ્વિત્ઝર્લેન્ડ સહિત ઈએફટીએ ગ્રુપ પાસે 15 વર્ષમાં 100 અબજ અમેરિકી ડોલરના રોકાણની સમજૂતી થઈ છે. આ એગ્રીમેન્ટ હેઠળ સ્વિસ વોચ, ચોકલેટ અને પોલિશ કરેલા હીરા જેવાં અલગ-અલગ ઉત્પાદનો ઉપર ઓછામાં ઓછા અથવા તો શૂન્ય શુલ્ક ઉપર ભારતમાં એન્ટ્રીની અનુમતિ મળે છે. એટલે કે, ભારતમાં હવે આ વસ્તુઓની કિંમત પહેલાંથી ઘટી જશે. કરાર હેઠળ ભારતમાં 100 અબજ ડોલરનાં રોકાણની યોજના છે, તેવામાં 10 વર્ષમાં 50 અબજ ડોલર અને પછી બીજા પાંચ વર્ષમાં 50 અબજ ડોલરનું રોકાણ આવશે. આ રોકાણથી ભારતમાં 10 લાખ લોકોને પ્રત્યક્ષ રોજગાર મળવાની આશા છે અને આ ભારત દ્વારા અત્યાર સુધીની સૌથી સારી ડીલ માનવામાં આવે છે. કારણ કે, ભારતે કોઈ અન્ય સાથે આવી સમજૂતી કરી નથી.કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું હતું કે, આ સમજૂતીને પૂરી થવામાં લગભગ 16 વર્ષ લાગ્યા છે અને આ ભારત માટે મહત્ત્વપૂર્ણ છે. કારણ કે, તેનાથી ઈએફટીએ દેશોના ઘણા ઉત્પાદો માટે બજાર ખૂલી ગઈ છે. આ ગ્રુપમાં સ્વીત્ઝર્લેન્ડ ભારતનું સૌથી મોટું વ્યાપારીક ભાગીદાર છે જ્યારે બાકીના ત્રણ દેશ સાથે વ્યાપારની માત્રા ઓછી છે. ભારત ઈએફટીએ તરફથી આવતી વસ્તુઓ ઉપર 82.7 ટકા સુધી ટેરિફ લાદે છે, જેમાં 80 ટકાથી વધારે સોનાની આયાત સામેલ છે. હવે આ કરારથી ભારતીય ગ્રાહકોને ઘડિયાળ, ચોકલેટ, બિસ્કિટ સહિત ઉચ્ચ ગુણવત્તાના સ્વિસ ઉત્પાદનો ઓછી કિંમતમાં મળી રહેશે. કારણ કે, આ વસ્તુઓ ઉપર ડયૂટી 10 વર્ષમાં સમાપ્ત કરવામાં આવી છે. સર્વિસ સેક્ટરની વાત કરવામાં આવે, તો ભારતે ઈએફટીએને વ્યવસાયિક સર્વિસ, કોમ્પ્યુટર સર્વિસ, વિતરણ અને હેલ્થ સહિત 105 સબ સેક્ટરમાં રોકાણનો પ્રસ્તાવ આપ્યો છે. ભારતે સ્વિત્ઝર્લેન્ડને 128 સબ સેક્ટર, નોર્વેને 114, લિકટેન્સ્ટીનને 107 અને આઈસલેન્ડને 110 સબ સેક્ટર માટે પ્રતિબદ્ધતા મેળવી છે. જે સેક્ટર્સને લાભ મળશે, તેમાં કાનૂની, રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ, કોમ્પ્યુટર, એકાઉન્ટિંગ અને ઓડિટ સર્વિસ સામેલ છે.  - ભારતને કેટલો ફાયદો ? : સમજૂતી ભારતીય નિકાસકારોને યુરોપીય સંઘના બજારમાં રજિસ્ટર્ડ થવાની તક આપે છે. સ્વિત્ઝર્લેન્ડના ગ્લોબલ સર્વિસ એક્સપોર્ટના 40 ટકાથી વધારે યુરોપીય સંઘને પહોંચે છે. જેનાથી ભારતીય કંપનીઓને યુરોપીય સંઘ સુધી પહોંચ વધારવા સ્વિર્ત્લેન્ડને એક બેઝ તરીકે ઉપયોગમાં લેવાની તક મળશે. ભારત ઈએફટીએ દ્વિપક્ષીય વ્યાપાર 2024-25મા 24.4 અબજ અમેરિકી ડોલર રહ્યો છે. 

Panchang

dd