નવી દિલ્હી, તા. પ : આંધ્રપ્રદેશમાં ભાજપના સહયોગી પક્ષ તેલુગુદેશમ પાર્ટી (ટીડીપી)ના વડા અને પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ રાજ્યમાં મુસ્લિમોને ચાર ટકા અનામત આપવાના પોતાના વલણનો આજે પુનરોચ્ચાર કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચૂંટણીની સભાઓમાં પોતે એસ.સી., એસ.ટી. અને ઓબીસીના ક્વોટામાંથી મુસ્લિમોને અનામત આપવા નહીં દઉં એવાં નિવેદનોના થોડા દિવસમાં જ નાયડુએ મુસ્લિમોને આરક્ષણની વાત દોહરાવી હતી. નાયડુએ ધર્મવરમમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે શરૂઆતથી જ મુસ્લિમોને ચાર ટકા અનામતને સમર્થન આપી રહ્યા છીએ અને અમારું આ વલણ જારી રહેશે. તેમણે કહ્યું હતું કે, આંધ્રપ્રદેશમાં વાયએસઆર કોંગ્રેસ વિરોધી પવન છે અને અમારો પક્ષ લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં જીતવા જઈ રહ્યો છે. એનડીએ આંધ્રમાં 2પ પૈકી 24 બેઠક પર વિજય મેળવશે. ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદીએ હાલમાં તેલંગાણાના ઝહીરાબાદમાં અને પછી સૌરાષ્ટ્રની ચૂંટણી સભાઓમાં જણાવ્યું હતું કે, તેઓ જીવે છે ત્યાં સુધી અનુસૂચિત જાતિ, આદિવાસીઓ અને અન્ય પછાત વર્ગોના ક્વોટમાં ધર્મના આધારે મુસ્લિમોને અનામત આપવા દેશે નહીં. આંધ્રપ્રદેશમાં નાયડુનો પક્ષ ટીડીપીએ એનડીએનો સહયોગી પક્ષ છે.