નવી દિલ્હી, તા. 5 : ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે રવિવારે જસ્ટિન ટ્રુડોનાં નેતૃત્વવાળી કેનેડા સરકારની ટીકા કરતાં જણાવ્યું હતું કે, અત્યારે કેનેડા ભારત માટે મોટી સમસ્યા છે. જયશંકરે કહ્યું છે કે, ભારત પર અલગ-અલગ આરોપો લગાવવા એ કેનેડાની રાજકીય મજબૂરી છે. આવતાં વર્ષે ત્યાં ચૂંટણી થવાની છે, તેથી દેશમાં વોટબેંકની રાજનીતિ ચાલી રહી છે. આને ભારત સાથે કોઈ લેવાદેવા નથી. ભુવનેશ્વરમાં એક કાર્યક્રમ દરમ્યાન પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતાં વિદેશ મંત્રીએ આ વાત કહી. જયશંકરે કહ્યું કે, અમે રાહ જોઈ રહ્યા છીએ કે, જે ત્રણ ભારતીય જેમની ધરપકડ થઈ છે કેનેડા તેમના વિશે અમને માહિતી આપે. અમને માત્ર એટલું જાણવા મળ્યું છે કે, તે ત્રણેય કોઈ ગેંગ સાથે સંબંધ રાખે છે. આ કેનેડાનો આંતરિક મામલો છે અને આ અંગે હું વધારે કશું જ કહી શકતો નથી. વિદેશ મંત્રીએ કહ્યું કે, ભારત વિરુદ્ધ કામ કરતા લોકોને કેનેડામાં આશ્રય આપવામાં આવે છે. ખાસ કરીને જેઓ પંજાબના છે, તેઓ કેનેડાથી કામ કરે છે. ખાલિસ્તાન તરફી લોકો કેનેડાની લોકશાહીનો દુરુપયોગ કરી રહ્યા છે. આજે તેઓ કેનેડાની વોટબેંક બની ગયા છે. કેનેડામાં શાસક પક્ષ પાસે સંસદમાં બહુમતી નથી. આવી સ્થિતિમાં સત્તામાં આવવા માટે ઘણી પાર્ટીઓ ખાલિસ્તાની સમર્થકો પર નિર્ભર છે. વિદેશ મંત્રીએ કહ્યું, `અમે કેનેડાને ઘણી વખત કહ્યું છે કે, આવા લોકોને વિઝા ન આપો, તેમને દેશના રાજકારણમાં સામેલ ન કરો. તેઓ કેનેડા, ભારત અને બંને દેશ વચ્ચેના સંબંધો માટે સમસ્યાઓ ઊભી કરી રહ્યા છે, પરંતુ તેઓએ કંઈ કર્યું નથી. બીજી તરફ નેપાળની નવી 100 રૂપિયાની નોટમાં નેપાળી નકશામાં ભારતના ત્રણ વિસ્તાર લિપુલેખ, લિમ્પિયાધૂરા અને કાલાપાની દર્શાવવામાં આવ્યા છે. આ અંગે જયશંકરે કહ્યું, `નેપાળ સાથે સરહદી બાબતોને લઈને અમારી ચર્ચા ચાલી રહી છે. ચીન સાથેના સંબંધો વિશે વાત કરતાં જયશંકરે કહ્યું, `છેલ્લાં ચાર વર્ષમાં ચીને એલએસી પર સૈનિકોની તૈનાતી વધારી છે. તેમણે ભારત પર દબાણ બનાવ્યું છે, તેનો સામનો કરવા માટે, હજારો ભારતીય સૈનિકને પણ ત્યાં તૈનાત કરવામાં આવ્યા છે.