લખનઉ, તા. 27 : ઉત્તર પ્રદેશના કાનપુરના ગંગા
બેરેજ પાસે આજે એક ટ્રાનિંગ એરક્રાફ્ટ તૂટી ગયું હતું. આ ભયાનક દુર્ઘટનામાં પ્લેનમાં
સવાર પાઈલટ અને કો-પાઈલટ બંનેના મોત નીપજ્યાં છે. ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યૂ ટીમો
સ્થળ પર પહોંચી ગઈ હતી અને રાહત તેમજ બચાવ કામગીરી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, અકસ્માતનો ભોગ બનેલું ટ્રાનિંગ એરક્રાફ્ટ `ગર્ગ એવિએશન'નું હતું. ગુવારે કાનપુરના નત્થા ખેડા વિસ્તારમાં
ગંગા બેરેજ પાસે ટ્રાનિંગ એરક્રાફ્ટ ક્રેશ થતાં જ સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને
જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કાનપુરના ચીફ ફાયર ઓફિસર સહિત ઈમરજન્સી
સર્વિસની ટીમો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડ અને ઈમરજન્સી ટીમોએ તાત્કાલિક
રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરીને ક્રેશ થયેલાં એરક્રાફ્ટના મલબામાંથી બે લોકોને અત્યંત ગંભીર
હાલતમાં બહાર કાઢ્યા હતા. બંનેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં
આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક
વિગતો અનુસાર, જીવ ગુમાવનારી બંને વ્યક્તિઓ પ્લેનમાં સવાર પાઈલટ
અને કો-પાઈલટ હતી. પોલીસ કમિશનર રઘુવીર લાલે જણાવ્યું કે, ગર્ગ
એવિયેશન સેન્ટરથી સાડા 11 વાગ્યે 4 સીટર વિમાને ઉડાન ભરી હતી. લગભગ 11:50 વાગ્યે આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત
થઈ ગયું જેમાં બે લોકોનાં મોત નીપજ્યાં. તેમાં ગુજરાતના રહેવાસી ઈન્સ્ટ્રક્ટર સચિન
ભાટિયા અને કર્ણાટકના વતની ટ્રેઇની અભિષેક પૂજારીનો સમાવેશ થાય છે.