ગાંધીધામ, તા. 22 : ગાંધીધામની સ્ટર્લિંગ રામકૃષ્ણ
હોસ્પિટલમાં 35 વર્ષના મહિલા દર્દી ગંભીર હાલતમાં
સારવાર માટે આવ્યા હતા. નિષ્ણાત તબીબની ટીમ દ્વારા સઘન સારવાર આપી દર્દીને નવું જીવન
આપવામાં આવ્યું હતું. તાવ-ઉધરસ અને શ્વાસ લેવામાં ભારે તકલીફ થતી હતી, નિદાનમાં ફેફસાંમાં ગંભીર રીતે નુકસાન થયું
હોવાનું બહાર આવ્યું હતું. નિષ્ણાત તબીબોની સારવારથી પાંચ દિવસમાં દર્દી સ્વસ્થ થઈ
ગયા હતા. મહિલા દર્દીની હાલત સારી ન હતી. તેઓ સ્ટર્લિંગ હોસ્પિટલના ડો. અદિત ઝોટા પાસે
સારવાર માટે આવ્યા હતા. તબીબી તપાસ દરમિયાન દર્દી હોસ્પિટલમાં પહોંચ્યા ત્યારે તેમનું
ઓક્સિજન સ્તર ખૂબ જ ઓછું અને સીઓ-2નું સ્તર વધેલું હતું અને દર્દી અર્ધબેભાન અવસ્થામાં હતા, તેમને તુરંત વેન્ટિલેટર સપોર્ટ પર રાખીને સારવાર
શરૂ કરવામાં આવી હતી. સીટી સ્કેનમાં જમણી બાજુનાં ફેફસાંમાં ગંભીર નુકસાન હતું અને
ફેફસાંમાં ન્યુમોનિયાની અસર જોવા મળી રહી હતી. વેન્ટિલેટર સપોર્ટ તથા એન્ટિબાયોટિક્સ અને
નેબ્યુલાઈઝેશન તેમજ જરૂરી સારવારથી માત્ર ત્રણ દિવસમાં દર્દીની સ્થિતિમાં નોંધપાત્ર
સુધારો થયો હતો અને પાંચ દિવસની સારવાર બાદ દર્દીને સારી હાલતમાં રજા આપવામાં આવી હતી.
આ સેવામાં ડો. તોસીફ સુરહવરદી, ડો. માનસી
ગોપાણી, ડો. દર્શન માહેશ્વરી જોડાયા હતા.