થાણે, તા. 9 : થાણેમાં
સોમવારે કમનસીબ સવાર ઊગી હતી. મુંબ્રા રેલવે સ્ટેશન પર પાટા પર ચાલતી લોકલ ટ્રેનમાંથી
અચાનક 13 યાત્રી નીચે પડી ગયા હતા, જેમાંથી એક જીઆરપી કોન્સ્ટેબલ સહિત પાંચ જણનાં મોત થઇ ગયાં હતાં. આ તમામ યાત્રી
ટ્રેનના દરવાજા પર ઊભા હતા. ટ્રેન કસારા તરફ જઇ રહી હતી, ત્યારે
સવારે સાડા નવ વાગ્યાના અરસામાં દીવા અને કોપર રેલવે સ્ટેશનોની વચ્ચે આ જીવલેણ દુર્ઘટના
સર્જાઇ હતી. નોકરીએ જવાનો સમય હતો એટલે ભરચક ભીડનાં કારણે કરુણ અકસ્માત સર્જાયો હતો.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દુર્ઘટનાને `કમનસીબ' લેખાવતાં જણાવ્યું હતું કે,
ઘાયલ થયેલા યાત્રીઓને હોસ્પિટલમાં ખસેડીને તરત સારવાર શરૂ કરી દેવાઇ
છે. રેલવેના સીપીઆરઓ સ્વપ્નિલ ધનરાજ નીલાએ જણાવ્યું હતું કે, યાત્રીઓ ટ્રેનનાં પગથિયાં પર લટકીને યાત્રા કરી રહ્યા હતા એટલે બે ટ્રેનો સામસામેથી
પસાર થતી વખતે ટકરાઇને નીચે પડી ગયા હતા. રેલવે પ્રશાસન અને પોલીસે દુર્ઘટનાની તપાસ
આદરી હતી. જીવલેણ દુર્ઘટનાનાં કારણે લોકલ ટ્રેનસેવા ખોરવાઇ હતી. લોકસભામાં વિપક્ષના
નેતા રાહુલ ગાંધીએ `એક્સ' પરથી પ્રહાર કરતાં કહ્યું હતું કે, મોદી સરકાર 11 વર્ષની `સેવા'ની ઉજવણી કરી રહી છે, ત્યારે દેશની હકીકત આ દર્દ દેનારી
ઘટનાના સમાચારમાં દેખાય છે. મોદી સરકારનાં 11 વર્ષમાં
ન જવાબદારી મળી, ન બદલાવ મળ્યો, માત્ર પ્રચાર મળ્યો.
મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના, તેવું રાહુલે નોંધ્યું હતું.
દરમ્યાન મુંબઇ રેલવે પેસેન્જર એસોસિયેશને ડિવિઝનલ રેલવે મેનેજર સામે પગલાંની માંગ કરતાં
કહ્યું હતું કે, અમે બે વખત રેલવે બોર્ડને ફરિયાદ કરી,
દીવાથી કાલ્વા સુધીના પ્રાણઘાતક રૂટ પર ચિંતા વ્યક્ત કરી હતી. આજના કરુણ
અકસ્માતનાં પગલે રેલવે બોર્ડે જણાવ્યું હતું કે, મુંબઇનાં પરાંઓ
વચ્ચે દોડતી તમામ લોકલ ટ્રેનોમાં ઓટોમેટિક ડોર ક્લોઝર એટલે કે આપોઆપ દરવાજા બંધ થઇ
જાય તેવી સુવિધા ઉમેરાશે. થાણેના શિવસેના સાંસદ નરેશ મહસ્કેએ યાત્રીઓ માટે જીવલેણ બનેલી
દુર્ઘટનાની તપાસની માંગ કરી હતી.
દરવાજા જાતે બંધ થઇ જાય એવી નોન એસી લોકલ ડિઝાઇન
તૈયાર કરાશે
મુંબઈ, તા. 9 (પીટીઆઇ)
: સેન્ટ્રલ રેલવેમાં સોમવારે મુંબ્રામાં ચાલતી ટ્રેનમાંથી પડીને પાંચ પ્રવાસીનાં મૃત્યુ
થવાની ઘટના બાદ રેલવે તંત્ર સફાળું જાગ્યું છે. આ બનાવના ગણતરીના કલાકમાં જ મુંબઈની
નોન એસી બંધ દરવાજાવાળી લોકલની ડિઝાઈન આવતા વર્ષના જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં તૈયાર
કરવાની જાહેરાત કરી હતી. રેલવેના એક અધિકારીના જણાવ્યા મુજબ કેન્દ્રીય રેલવે પ્રધાન
અશ્વિની વૈષ્ણવ અને રેલવે વિભાગના અધિકારીઓની સોમવારે ચેન્નઇ સ્થિત ઇન્ટીગ્રલ કોચ ફેક્ટરીની
ટીમ સાથે અર્જન્ટ બેઠક કરી હતી, જેમાં મુંબઈની નોન એસી લોકલ ટ્રેનના
ઓટોમેટિક ડોર ક્લોઝિંગ સિસ્ટમની સમસ્યાનો પ્રેક્ટિકલ ઉકેલ લાવવા બાબતે ચર્ચા થઈ હતી.
વિસ્તારથી વિચાર વિમર્શ કર્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો કે નોન એસી લોકલ ટ્રેનમાં
વેન્ટિલેશનની સમસ્યાનો ઉકેલ મુખ્ય ડિઝાઈનમાં ત્રણ મોટા ફેરફાર કરીને રેક બનાવવામાં
આવે.