ગાંધીધામ, તા. 8 : મેઘપર કુંભારડીની ભક્તિધામ
સોસાયટી નજીક એક યુવાન ઉપર ત્રણ શખ્સે હુમલો કર્યો હતો. બાદમાં બાઈક સળગાવી દેવામાં
આવ્યું હતું. મેઘપર કુંભારડીની ભક્તિધામ સોસાયટીમાં રહેનાર ફરિયાદી અજીત મનહર શર્મા
મુંદરા સર્કલ પાસે હતો, ત્યારે બાઈકમાં
પંક્ચર પડતાં મિત્ર હરેશને ત્યાં બોલાવ્યો હતો. આ બંને મિત્ર ભક્તિધામ સોસાયટી જઈ રહ્યા
હતા, ત્યારે ગોપાલભાઈના કોમ્પ્લેક્સ પાસે પહોંચતાં આરોપી હર્ષદ
અને મયૂર જોશીએ રોકાવી ગાળાગાળી કરી ધોકા વડે ફરિયાદીને માર માર્યો હતો. બાદમાં વિશાલ
સંઘાર ત્યાં આવી તેણે પણ માર માર્યો હતો. ઘવાયેલા યુવાનને સારવાર અર્થે ભુજની જી.કે.
જનરલ હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તેને જડબાંમાં અસ્થિભંગ સહિતની
ઈજાઓ હોવાનું બહાર આવ્યું હતું. ઝઘડા દરમ્યાન યુવાનના મિત્ર હરેશનું બાઈક ત્યાં જ રહી
ગયું હતું. જેને સળગાવી દેવામાં આવ્યું હતું. પોલીસે બનાવ અંગે ગુનો નોંધી આગળની તપાસ
હાથ ધરી છે.