કોડકી (તા. ભુજ), તા. 27 : અહીંની શાળા
પાસે અને રહેણાક નજીક જાહેર શૌચાલય ન બનાવવા પંચાયતમાં રજૂઆત કરાઇ હતી. આ અંગે મનજી
લક્ષ્મણ માવજી વરસાણીએ ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે, મકાનની આગળના ભાગે સર્વિસ રોડ પર શાળા અને રહેણાક
નજીક પંચાયત દ્વારા જાહેર શૌચાલય બનાવવાની કાર્યવાહી કરવા માટે સર્વે કરાયો છે. જો
શૌચાલય બનશે, તો આવનારા દિવસોમાં સાફ સફાઇના અભાવે ગંદકી અને
રોગચાળો ફેલાવા સહિતની ભીતિ વ્યક્ત કરી શૌચાલય માટે અન્ય જગ્યા ફાળવવા માંગ કરી હતી
તેમ છતાં જો કામગીરી શરૂ કરાશે, તો ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવાની તૈયારી
પણ દર્શાવી હતી.