ભુજ, તા. 20 : લઘુમતી સમાજના આગેવાનોને ભુજના પોલીસ અધિકારીએ ધમકી આપ્યાની ફરિયાદ અરજી કરાઈ હતી. આ અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આઠ ગુનાના આરોપીની ભલામણ લઈને આવેલા આગેવાનોની માંગ કાયદેસરની ન હોવાથી માંગ ન સંતોષતા તેમની વિરુદ્ધ આક્ષેપો કરાયા છે. આજે એ-ડિવિઝન પોલીસ મથકે નુંધાતડના પઢિયાર સાલેમામદ હાજીઆદમે આપેલી ફરિયાદ મુજબ ગત તા.18/5ના તે તથા ઈબ્રાહિમ હાલેપોત્રા અને મુસ્લિમ સમાજના આગેવાનો લોકોની રજૂઆત માટે ડીવાયએસપી શ્રી જાડેજા પાસે ગયા હતા. પોતે અબડાસા તાલુકા સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ તથા સાથે માજી પ્રમુખ ઈબ્રાહિમ હાલેપોત્રાની ઓળખ આપતા શ્રી જાડેજા ઉશ્કેરાઈ ગયા હતા અને ધમકી આપી હોવાની ફરિયાદ અરજી કરી છે. આ ફરિયાદ અરજી આપવા વેળાએ મુસ્લિમ સમાજના આગેવાનો જોડાયા હતા. આ બનાવ અંગે ડીવાયએસપી શ્રી જાડેજાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, સમાજના આગેવાનો જેની ભલામણ લઈને આવ્યા હતા તે આઠ ગુનાનો આરોપી છે. તેઓની માંગ કાયદેસરની ન હોવાથી માંગ ન સંતોષાતાં આ રીતે તેમની વિરુદ્ધ આક્ષેપો કરાયાનું તેમણે જણાવ્યું હતું.