• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

વ્યવહાર રદ પણ ઈરાદાનું શું?

રાજકારણમાં આવે અને સત્તા મળે એ પછી માલેતુજાર થવાનું મોટું માધ્યમ જમીનને લગતા વ્યવહારો છે. ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં એક પ્રકરણે ઝંઝાવાત સર્જ્યો છે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અજિત પવારના પુત્ર પાર્થની કંપની એમેડિયા એન્ટરપ્રાઈઝીસ એલએલપીને પૂણેમાં સરકારી માલિકીની 40 એકર જમીન રૂા. 300 કરોડમાં વેચવાના સોદા મુદ્દે થયેલા ગેરવ્યવહાર બાબતે અજિત પવારે બીજા દિવસે કહ્યું છે કે, આ સોદો રદ કરાયો છે અને માત્ર વેચાણ કરાર બનાવાયો હતો, અંતિમ વ્યવહાર થયો નહોતો અને એક પણ પૈસાની લેવડદેવડ થઈ નથી. વળી, આ મામલામાં બે પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી એફઆઈઆરમાંથી એકમાં પણ પાર્થનું નામ નથી, પણ તેના પાર્ટનર અને પિતરાઈ દિગ્વિજય પાટિલનું નામ છે. વિરોધી પક્ષોએ હુમલો બોલાવતાં કહ્યું છે કે, દિગ્વિજય પાટિલ પાસે કંપનીનો એક ટકા શેર છે, છતાં તેનું નામ એફઆઈઆરમાં છે, પણ 99 ટકા શેર ધરાવતા પાર્થનું નામ નથી. જમીન ખરીદીનો વ્યવહાર રદ કરવાથી રૂા. 1800 કરોડના મૂલ્યનો પ્લોટ સાવ રૂા. 300 કરોડમાં મેળવવાનો તથા સ્ટેમ્પ ડયૂટીમાં સરકારને નુકસાન થાય એવું પગલું અને એનાથી પણ ઉપર સરકારી જમીનનો સોદો કરવાની દિશામાં લેવાયેલાં પગલાં અને તેની પાછળનો આશય ગુનાહિત કેવી રીતે ન હોઈ શકે? એવો પ્રશ્ન ઊભો થાય છે. તહેસીલદારથી લઈને રજિસ્ટ્રાર જેવા અધિકારીઓને આ મામલામાં સસ્પેન્ડ કરાયા છે, મોટાં માથાંને બચાવવા માટે કાર્યવાહીનો દેખાડો થઈ રહ્યો હોવાની ચર્ચાએ પણ વેગ પકડયો છે. મહેસૂલ ખાતા દ્વારા સઘન ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવી છે અને તેનો વિસ્તૃત અહેવાલ એકાદ મહિનામાં આવવાની ખાતરી મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ આપી છે. જો કે, પાર્થનું નામ એફઆઈઆરમાં કેમ નથી, એ પ્રશ્નના જવાબમાં બાવનકુળેએ કહ્યું છે કે, જેમણે આ કરાર પર સહી કરી છે, એમના જ નામ એફઆઈઆરમાં છે. હજી એક દિવસ પહેલાં અજિત પવારે પુત્ર પાર્થની કંપનીના જમીન સોદા અંગે કહ્યું હતું કે, આવું કંઈક ચાલી રહ્યું છે એવી વાત ત્રણ-ચાર મહિના પહેલાં મારા કાને આવી હતી, ત્યારે મેં કહી દીધું હતું કે, આવું બધું મને નહીં ચાલે, પણ છોકરા મોટા થઈ જાય એ પછી બિઝનેસના નિર્ણયો જાતે લેતા હોય છે. જો કે, શુક્રવારે પવારે કહ્યું કે, 40 એકરની આ જમીન સરકારી કબજામાં હતી અને આ જમીન ખરીદવા માટેનો માત્ર કરાર થયો છે. પાર્થ, એમેડિયા કે મારા પરિવારના કોઈ સભ્યે વેચનારને કોઈ રકમ આપી નથી અને ન તો જમીનનો તાબો લેવાયો છે. આ વ્યવહાર પૂર્ણ જ નથી થયો. પાર્થને કદાચ ખબર જ નહોતી કે આ જમીન સરકારી માલિકીની છે. મુખ્યપ્રધાન ફડણવીસે તપાસના આદેશ આપ્યા છે. જો કે, આ આખા મામલામાં એકથી વધુ સ્તરે ઢીલ થઈ છે અથવા કરાઈ છે. સરકારી માલિકીની જમીનનાં વેચાણના કરારની નોંધણી થઈ ગઈ ત્યાં સુધી મહેસૂલ ખાતાએ પગલું લીધું નહીં અને ઉપરથી સ્ટેમ્પ ડયૂટીમાં રાહત પણ આપી. કાં તો અમલદારો સરકારથી મોટા થઈ ગયા છે અને કાં તો સરકારમાં કોઈના ઈશારે આ બધું થયું છે.

Panchang

dd