આધુનિક ભારતમાં સારા માર્ગો વિકાસની સાથે તાલ મીલાવતા થયા છે. સારા માર્ગો પર વાહનોની અવરજવર ઝડપી બની છે, ત્યારે આ ઝડપ જોખમને પણ વધારી રહી હોવાની ચિંતાજનક
સ્થિતિ ઊભી થઈ છે. આ વધી રહેલા જોખમે માર્ગો પર પૂરપાટ જતા વાહનો માટે પૂરતી માર્ગ
સલામતીની અનિવાર્યતા છતી કરી છે. દેશભરમાં
એક્સપ્રેસ વે અથવા રાષ્ટ્રીય ધોરીમાર્ગોના વ્યાપનો વિસ્તાર કરવાના સંખ્યાબંધ પ્રોજેક્ટ
હાથ ધરાઈ રહ્યા છે. આવા એક્સપ્રેસ વે પર વાહન
વ્યવહારને અંતર કાપવામાં અડધા જેટલો સમય લાગે એવા દાવા થઈ રહ્યા છે. સુધરી રહેલા માર્ગોના નેટવર્કથી નાગરિકોમાં ભારે
ઉત્સાહની લાગણી જાગી છે, પણ આ માર્ગોને વધાવતી વેળાએ વધી રહેલા
માર્ગ અકસ્માતો ખરા અર્થમાં તેના જોખમને છતાં કરતાં સરકાર માટે પડકાર ઊભો થઈ ચૂક્યો
છે. ધોરીમાર્ગો પર જીવલેણ અકસ્માતોમાં વધુ ને વધુ લોકોને ભોગ લેવાઈ રહ્યો છે, ત્યારે સર્વોચ્ચ અદાલતને પણ તેની
નોંધ લેવી પડી છે. ગયા સપ્તાહે એક કેસની સુનાવણી
દરમ્યાન અદાલતે કહ્યું હતું કે, અકસ્માતોમાં આટલા લોકોનાં મોત થઈ
રહ્યાં છે, ત્યારે મોટા-મોટા ધોરીમાર્ગો બનાવવાનો ઉદ્દેશ શું
છે. અદાલતે કેન્દ્ર સરકારને આવા માર્ગ અકસ્માતોમાં
કેશલેશ સારવારની યોજના હજી અમલી થઈ ન હોવા અંગે પણ સવાલ કર્યા હતા. જેમ માર્ગો બાંધવાની
જવાબદારી છે તેવી જ રીતે માર્ગ સલામતીની જવાબદારી પણ સરકારની બને છે. આ માટે માર્ગો પર સાવચેતી સાથે વાહન ચલાવવાની જાગૃતિ
કેળવવાની ઝુંબેશ હાથ ધરવા ઉપરાંત અકસ્માત સમયે ઘાયલોના જીવ બચાવવા એક કલાકની અંદર સારવાર
પૂરી પાડવાની વ્યવસ્થા ગોઠવવાની પણ ખાસ જરૂરત રહે છે. કમનસીબી એ છે કે, આધુનિક ટેક્નોલોજી સાથેના ધોરીમાર્ગો અને એક્સપ્રેસ વે અબજો રૂપિયાના ખર્ચે
નિર્માણ પામે છે, પણ
તેને સંલગ્ન અનિવાર્ય એવી અકસ્માત સમયની તાકીદની આરોગ્ય વ્યવસ્થા ગોઠવવા તરફ ધ્યાન
આપવાની ભાગ્યે જ કોઈ તસ્દી લેવાય છે. ખરેખર
તો અદાલતે હવે જ્યારે ચિંતા વ્યક્ત કરી છે અને ધોરીમાર્ગો દિવસાદિવસ જોખમી બની રહ્યા
છે, ત્યારે સરકારે માર્ગ સલામતીની સાથોસાથ માર્ગોને સંલગ્ન તાકીદની
સારવાર વ્યવસ્થા ગોઠવવા પર પણ પૂરતું ધ્યાન આપવાનું અનિવાર્ય બની ગયું છે. એ સાથે રોડ
સલામતીના નિયમો લોકો પણ પાલન કરે એ તાતી જરૂર છે. ખાસ કરીને વધુ પડતી ગતિમાં ચાલતાં
વાહનો એક નાનકડી ચૂકના લીધે અકસ્માતનો ભોગ બને છે, તો સીટબેલ્ટ
ન પહેરવાનું આળસ પણ મોટું કારણ છે. અન્ય વાહનો સાથે સલામત અંતર રાખીને ગાડી દોડાવવાનું
અનિવાર્ય છે, પણ મોટે ભાગે તેનું પાલન થતું નથી. ઓવરટેક કરવાની
લ્હાયમાં અત્યાર સુધી અસંખ્ય ગમખ્વાર અકસ્માતો થઇ ચૂક્યા છે. આ ઉપરાંત દારૂ પીને ગાડી
ચલાવવી કે ચાલુ ડ્રાઇવિંગે મોબાઇલ ફોનનો ઉપયોગ પણ નુકસાનકર્તા છે. સરકાર તો નિયમ બનાવે
છે, પણ એ નિયમો ઉપયોગમાં લેવાની કાળજી આપણી છે, માત્ર સરકાર પર દોષ આપવાને બદલે આપણે પણ જવાબદાર નાગરિક બનીએ પણ જરૂરી છે.