રાજકીય પ્રવાહો : કુન્દન વ્યાસ : રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં
હિન્દી ભાષા સામે વિરોધ આંદોલન જગાવીને તામિલનાડુના મુખ્યપ્રધાન એમ.કે. સ્ટાલિને રાજકારણનો
નવો મોરચો ખોલ્યો છે. સ્ટાલિનના પાટવીકુંવરે સનાતન ધર્મ સામે કુપ્રચારની જેહાદ જગાવીને
કોંગ્રેસના ઈન્ડિ મોરચાને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો, પણ સંજોગવશાત્ મહાકુંભનો મહોત્સવ યોજાયો અને
સનાતન ધર્મના વિરોધીઓની બોલતી બંધ થઈ ગઈ. આ પછી મહાશિવરાત્રિ સદ્ગુરુ જગ્ગી વાસુદેવ
આયોજિત મહોત્સવમાં લાખો લોકો જોડાયા.ઉત્તર ભારતમાં બાગેશ્વરબાબાની ધૂન અને સંદેશ પછી હોળી
ઉત્સવનાં કારણે વાતાવરણ અને રાજકારણ ધર્મમય બની ગયું છે, ત્યારે ડીએમકેના સુપ્રીમો સ્ટાલિને રાષ્ટ્રીય
શિક્ષણનીતિ - વિશેષ કરીને હિન્દી ભાષા સામે રાજકીય જેહાદ જગાવવાની શરૂઆત કરી છે ! ભાજપવિરોધી
અન્ય રાજ્યો અથવા પક્ષોનો સાથ મેળવવા રાજ્યોનાં સીમાંકન - જેના આધારે લોકસભાની રાજ્યવાર
બેઠકો નક્કી થાય છે - સામે આંદોલન શરૂ કર્યું છે. તામિલનાડુમાં ડીએમકેનો મૂળ વિરોધ
રાજકીય - ભાજપ સામે છે. ભાજપ ભાષાનાં રાજકારણથી ભારતની એકતા તોડે છે - એવો વાહિયાત
આક્ષેપ થાય છે. હકીકતમાં ડીએમકેને ભય છે કે ભાજપ હવે દક્ષિણમાં લોકપ્રિય બને છે,
તેથી ગમે તે રીતે - ભોગે બ્રેક મારવાની જરૂર છે ! તામિલનાડુ હિન્દીવિરોધી
અભિયાન અથવા આક્રમણમાં દક્ષિણ ભારતનાં કર્ણાટક, કેરળ,
તેલંગણા અને આંધ્ર ઉપરાંત ઓરિસ્સા અને પંજાબને સાથે લેવા માગે છે. બાવીસમી
માર્ચે `એકતા'
માટે આ તમામ રાજ્યોના સિનિયર નેતાઓને આમંત્ર્યા છે ! ભાષા ઉપરાંત સીમાંકન
- વસતિના આધારે લોકસભાની બેઠકો મળે એ પ્રશ્ન પણ છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે
કહ્યું છે કે તામિલનાડુની 39 બેઠક છે, તેમાં
એકપણ ઓછી નહીં થાય. (વાસ્તવમાં નૂતન સંસદમાં કુલ 800થી વધુ સભ્યોની બેઠકો છે) છતાં
સ્ટાલિને નવદંપતીને સલાહ આપી છે કે વધુ બાળકો હોવાં જોઇએ. હવે વસતિ વધારવાનું અભિયાન
છે ! રાજકીય સંઘર્ષમાં આ નવી શરૂઆત થાય છે. કેટલાં રાજ્યો અને પક્ષો જોડાશે ? સનાતન ધર્મના વિવાદમાં કોંગ્રેસે છડેચોક મેદાનમાં
આવવાને બદલે વિરોધ નહીં કરીને સાથ આપ્યો. હિન્દીભાષાનો વિરોધ કરવાનું સાહસ નહીં કરે.
કેરળની બેઠક છોડીને રાયબરેલી આવ્યા છે, પણ દહીં - દૂધ બંનેમાં
પગ ક્યાં સુધી ? રાષ્ટ્રીય શિક્ષણનીતિ સામે ડીએમકેનો વિરોધ જૂનો
છે, પણ ચૂંટણી - સત્તાનાં રાજકારણમાં ભાષાનું શત્ર અજમાવાય છે.
આઝાદી પછી 1948-49માં
યુનિવર્સિટી એજ્યુકેશન કમિશન નિમાયું હતું અને તેના અધ્યક્ષ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન
- પછી ભારતના રાષ્ટ્રપતિ બન્યા હતા. આ કમિશને હિન્દી (ગાંધીજી સૌને સ્વીકૃત હિન્દુસ્તાની
કહેતા હતા) ભાષાને રાષ્ટ્રભાષા - વહીવટની ભાષા બનાવવાની તરફેણ કરી હતી. રાજ્યોમાં પ્રાદેશિક
ભાષા સ્વીકારવાનું સૂચન હતું. આ સાથે - તાત્કાલિક અંગ્રેજીનો ત્યાગ કરવાની વ્યવહારુ
ગણાય નહીં એવી ભલામણ પણ હતી. આ પંચે શાળાનાં શિક્ષણ માટે ત્રિભાષાની ભલામણ કરી હતી.
પ્રાથમિક શિક્ષણમાં બે ભાષા અને ઉચ્ચ અભ્યાસક્રમમાં ત્રણ ભાષા હોવી જોઇએ. પ્રાદેશિક
ભાષા સાથે કેન્દ્રની વહીવટી ભાષા ઇંગ્લિશમાં પુસ્તકો વાંચી શકાય તે જરૂરી ગણવામાં આવ્યું.
આ પછી વર્ષ 1964થી '66 સુધી રાષ્ટ્રીય
શિક્ષણનીતિ પંચ નિમાયું અને 1968માં વડાપ્રધાન
ઈન્દિરા ગાંધીની સરકારે પંચની ભલામણો સ્વીકારી. હિન્દીભાષી રાજ્યોમાં દક્ષિણ ભારતની
કોઈપણ એક ભાષા ઉપરાંત હિન્દી અને ઈંગ્લિશ માધ્યમિક શિક્ષણમાં જરૂરી અને બિનહિન્દીભાષી
રાજ્યોમાં પ્રાદેશિક ભાષા સાથે હિન્દી - ઈંગ્લિશ શિક્ષણની ભલામણ હતી. 1986માં રાજીવ ગાંધી સરકાર અને
2020માં એનડીએ - મોદી સરકારે આ
નીતિ ચાલુ રાખી, પણ મોદી સરકારની નીતિમાં
હિન્દીભાષાનો ઉલ્લેખ નથી. હિન્દીભાષા સામે નવેસરથી વિરોધ શરૂ થયો છે. ફરજિયાત બનાવાઈ
રહી છે, ત્યારે સંસદમાં શિક્ષણપ્રધાને તામિલનાડુ સરકારનો પત્ર
- 2020ની રાષ્ટ્રીય શિક્ષણનીતિનો
સ્વીકાર - સમર્થન કરતો પત્ર વાંચી સંભળાવ્યો, પણ ડીએમકેના સભ્યોએ વિરોધ જારી રાખ્યો છે.સિનિયર વાચકોને યાદ હશે કે 1966માં તામિલનાડુમાં હિન્દી ભાષા
વિરોધી હિંસક આંદોલન થયું હતું. રેલવે સ્ટેશનોએ આગ ચાંપવામાં આવી હતી. 1967ની ચૂંટણીમાં કોંગ્રેસી મુખ્યપ્રધાન
ભક્તવત્સલમનો પરાજય થયો. ડીએમકેને સત્તા મળી અને ત્યારથી કોંગ્રેસ તામિલનાડુમાં સત્તાભ્રષ્ટ
છે. ઈન્દિરા ગાંધીએ ડીએમકેની નેતાગીરી અને કોંગ્રેસે ભાગીદારી સ્વીકારી છે. ડીએમકેમાં
ભંગાણ પડયા પછી એમ.જી. રામચન્દ્રન અને જયલલિતાએ હિન્દીવિરોધ કરવાને બદલે ભાજપ સાથે
ભાગીદારી કરી હતી ! હવે ડીએમકે ગમે તે બહાને - કારણે કેન્દ્ર સરકારનો વિરોધ કરીને સત્તા
પકડી રાખવા માગે છે. મુખ્યપ્રધાન એમ.કે. સ્ટાલિન કહે છે સંસ્કૃત અને હિન્દી ભાષાનાં
કારણે ઉત્તર ભારતની પચ્ચીસ ભાષા ખતમ થઈ ગઈ છે. ભોજપુરી, મૈથિલી, અવધી,
વ્રજ, બુન્દેલી, ગઢવાલી,
કુમાઉની, મારવાડી, સંથાલી,
માલવી વગેરે. આ `બોલી'ઓ હતી
અને છે, છતાં સ્ટાલિન કહે છે - `માતૃભાષા તો મધપૂડા જેવી હોય છે. છંછેડશો
તો ભારે પડશે.' પણ રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં
કોઈની માતૃભાષાને છંછેડવાનો પ્રશ્ન જ નથી. હિન્દી ભાષાને ફરજિયાત ઠોકી બેસાડવાનો પણ
સવાલ નથી, છતાં રાજકીય ઉદ્દેશથી આવો વિરોધ અને પ્રચાર થાય છે.
સ્ટાલિન કદાચ જાણતા નથી કે ઉત્તરપ્રદેશની વિધાનસભામાં અવધી, ભોજપુરી,
બુંદેલી અને વ્રજભાષા સ્વીકારાઈ છે. જે ભાષામાં ભાષણ થાય તેનું ભાષાંતર
સાથોસાથ કરવાની વ્યવસ્થા છે. ઈંગ્લિશ પણ સ્વીકાર્ય છે, ત્યારે
સમાજવાદી પાર્ટી ઈંગ્લિશનો વિરોધ કરે છે ! આજની વાસ્તવિકતા એવી છે કે નેતાઓ અને ધનવાનોનાં
બાળકો ઈંગ્લિશ માધ્યમમાં ભણે છે, ત્યારે ગરીબવર્ગનાં બાળકો સરકારી
અથવા તો મિશનરી - કોન્વેન્ટમાં ભણે છે - સૌને ઈંગ્લિશમાં ભવિષ્ય દેખાય છે - માતૃભાષાઓને
જીવાડવા અભિયાન ચલાવવાં પડે છે. સ્ટાલિનની ફરિયાદ છે કે હિન્દી દિવસની જેમ તામિળ દિવસ
કેમ નહીં ? પણ સ્ટાલિનની જવાબદારી છે - કોણે મનાઈ કરી છે?
તેઓ કહે છે કે રશિયન ભાષા ફરજિયાત થયા પછી સોવિયેત સંઘ વેરવિખેર થયું
અને છૂટા પડેલા પ્રદેશ - દેશોમાં રશિયન ભાષા લઘુમતીમાં છે ! પણ સ્ટાલિન જાણતા નથી કે
ચીનમાં મંડારીન ફરજિયાત છે. ઈઝરાયલ, જાપાન, જર્મનીમાં ટેકનિકલ પુસ્તકો એમની ભાષામાં છે. ભારતમાં ઈન્ડિયન પિનલ કોડ અને
ફોજદારી કાયદા હિન્દીમાં તૈયાર થયા, તે કોનાં પેટમાં દુ:ખે છે
? અને હવે તો ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઈંગ્લિશને સત્તાવાર ભાષા જાહેર કરી
છે. વર્ષ 2011ની વસતિગણતરીના
આંકડા અનુસાર ભારતમાં 26 ટકા લોકો
`િદ્વભાષી' અને સાત ટકા ત્રિભાષી છે. શહેરી વિસ્તારોમાં
અનુક્રમે 44 અને 15 ટકા છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં બાવીસ અને પાંચ
ટકા છે. તામિલનાડુમાં લઘુમતીઓની 1500 શાળામાં તમિળ, તેલુગુ, ઉર્દૂ, કન્નડ, મલયાલમ વગેરે ભાષાઓ ઉપરાંત તેમાંની 770 શાળામાં હિન્દી ભણાવાય છે. તમિળ ભાષા કરતાં ઈંગ્લિશ ભણતા વિદ્યાર્થીઓ
વધુ છે. - 2018માં કેન્દ્ર સરકારે સર્વ શિક્ષા
અભિયાન શરૂ કર્યું, તે મુજબ 60 ટકા ખર્ચ કેન્દ્ર આપે છે. તામિલનાડુ
સરકારે રાષ્ટ્રીય શિક્ષણનીતિ સ્વીકારવા છતાં અમલ કરે નહીં તો તેને 2512 કરોડ મળે નહીં. મુખ્યપ્રધાનનો આક્ષેપ છે કે હિન્દી ફરજિયાત બનાવીને
અમારી માતૃભાષાને ખતમ કરવાનો પ્રયાસ છે ! વાસ્તવમાં ઈંગ્લિશ અને તમિળમાં અભ્યાસ કરતા
વિદ્યાર્થીઓ કેટલા છે ? તમિળ શિક્ષકો
મળતા નથી - ખાલી જગાઓ પૂરાતી નથી. સ્ટાલિનના પિતા કરુણાનિધિ તામિલનાડુના મુખ્યપ્રધાન
હતા, ત્યારે 1975ના માર્ચ મહિનામાં એમણે તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને
ધમકી આપી હતી કે અમારાં સ્વમાન અને આત્મસમ્માનનો સવાલ છે. અમારે ફોર્ટ સેં. જ્યોર્જના
બગીચામાં ઘાસ કાપવું હોય તો પણ કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે ? ચોલાવંશના રાજા રાજાચોલાનની પ્રતિમા તાંજાવ્વુર
મંદિરમાં મૂકી શકાય નહીં અને વરાહ અવતારની મૂર્તિ ત્યાં છે, એ
આ અમારું અપમાન છે. અમારી સ્વાયત્તતાનો સવાલ છે એમ કહીને ઠેકડી ઉડાવી - અમારે સંસદીય
માર્ગ છોડીને અન્ય વિકલ્પ વિચારવા પડશે !