મુંબઇ, તા. 7 : આઇપીએલની અધવચ્ચે ટીમ ઇન્ડિયાના
કેપ્ટન અને છટાદાર બેટ્સમેન રોહિત શર્માએ ચોંકવનારો નિર્ણય લઇને ટેસ્ટ ક્રિકેટમાંથી
સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. તે હવે માત્ર વન-ડે ફોર્મેટમાં જ ટીમ ઇન્ડિયા તરફથી
રમશે. ટી-20 ઇન્ટરનેશનલ ફોર્મેટને રોહિત
અગાઉ જ અલવિદા કરી ચૂકયો છે. રોહિતની ટેસ્ટ નિવૃત્તિથી આગામી ઇંગ્લેન્ડ પ્રવાસમાં ભારતીય
ટીમને નવો કપ્તાન મળશે. આ પદ માટે જસપ્રીત બુમરાહ,
શુભમન ગિલ અને કેએલ રાહુલ પ્રબળ દાવેદાર છે. 38 વર્ષીય રોહિતે ઈન્સ્ટાગ્રામ
પર પોતાની ટેસ્ટ ક્રિકેટની નિવૃત્તિની આજે અચાનક જાહેરાત કરી સૌને ચોંકાવી દીધા હતા.
તેણે પોતાની 280 નંબરની કેપના ફોટા સાથે લખ્યું
કે હું બધાને એ વાતથી સૂચિત કરી રહ્યો છું કે, મેં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિનો નિર્ણય લીધો છે. દેશ માટે સફેદ જર્સીમાં
પ્રતિનિધિત્વ કરવું મારા માટે સન્માનની વાત છે. આટલાં વર્ષો સુધી મને સમર્થન અને પ્રેમ
આપવા માટે આપ સૈનો આભાર. હું વન-ડે ફોર્મેટમાં રમવાનું ચાલુ રાખીશ. રોહિત શર્માએ ભારત
તરફથી 67 ટેસ્ટ મેચની 116 ઇનિંગ્સમાં 40.પ7ની સરેરાશથી 7પ38 રન કર્યા છે. જેમાં 12 સદી અને 19 અર્ધસદી સામેલ
છે. તેણે 2024ના વિશ્વકપ વિજય પછી ટી-20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
હતી. તેની કપ્તાનીમાં હાલમાં જ ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. પાછલા કેટલાક સમયથી ટેસ્ટ ક્રિકેટમાં તેનું પ્રદર્શન
સારું રહ્યંy ન હતું. ઘરઆંગણે તે બાંગલાદેશ અને ન્યૂઝીલેન્ડ
સામેની શ્રેણીમાં નિષ્ફળ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં તે રન માટે સતત સંઘર્ષમાં
રહ્યો હતો અને આખરી ટેસ્ટમાં ખુદને બહાર રાખવાનો નિર્ણય લીધો હતો. આ પછી આગામી ઇંગ્લેન્ડ
પ્રવાસમાં તેની પસંદગી અને કપ્તાનપદ પર તલવાર લટકી રહી હતી, જે નોબત આવે તે પહેલાં તેણે ટેસ્ટને અલવિદાનો
નિર્ણય લીધો છે.