ગાંધીધામ, તા. 5 : તાજેતરમાં સરકાર દ્વારા ઘઉંના
નિકાસ માટેની કાર્યવાહી કરાયા બાદ અચાનક પ્રતિબંધ લાદી દેવાતાં કંડલા બંદરે ઘઉંના વ્યાપક
જથ્થાનો ભરાવો થયો હતો, ત્યારે ચાર
વર્ષના અંતરાલ બાદ આજથી કંડલામાં ફરી ઘઉંની
નિકાસની કામગીરીનો આરંભ થયો હતો. આ સાથે કામદારોની
સુરક્ષા માટે પણ પ્રશાસન દ્વારા વ્યાપક પ્રયાસો આદર્યા હતા. વર્ષ 2022 બાદ દુબઈ જતાં જહાજમાં ઘઉં ભરવાની કામગીરી આજે શરૂ કરવામાં
આવી હતી. એમ.વી. અન્ના થેરેશા નામનાં જહાજમાં
22 હજાર મેટ્રિક ટન ઘઉંની નિકાસ
કરવામાં આવશે. ડીપીએ ચેરમેન સુશીલકુમાર સિંઘે
આજે ઘઉંની લોડિંગની કામગીરી શરૂ થઈ તે વેળાએ
મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી હતી. પોર્ટ પ્રશાસન દ્વારા શ્રમિકોની સુરક્ષાને
પ્રાધાન્ય આપવામાં આવે છે. આ સાથે અધ્યક્ષે શ્રમિકો સાથે સુરક્ષા બાબતે સંવાદ કરી ગરમીના
માહોલમાં તકેદારી રાખવા અનુરોધ કર્યો હતો. આ કામગીરીમાં શિપર આઈટીસી લિમિટેડ છે, જ્યારે વેસલ એજેન્ટ અને સી એન્ડ એફ એજેન્ટ ગૌતમ ફ્રાઈટ અને સીએચએ કે.એસ.
છાયા કોન્સોલિડેટર્સ પ્રા.લિ. છે. આ વેળાએ
ફ્રેન્ડસ ગ્રુપના સુખરાજ સિંઘવી, જીતુભાઈ સિંઘવી વિગેરે ઉપસ્થિત
રહ્યા હતા. ફ્રેન્ડસ ગ્રુપ દ્વારા અધ્યક્ષનું સ્વાગત કરાયું હતું.