મુંબઈ, તા. 4 : મુંબઈમાં પ્રથમવાર થનારી 64 દીક્ષાના ઉત્સવ નિમિત્તે 700થી વધુ સાધુ-સાધ્વીજીનો ઉત્સવ
માટે ખાસ ઊભી કરવામાં આવેલ અધ્યાત્મનગરીમાં પ્રવેશ થયો હતો. આ પ્રવેશયાત્રામાં વિવિધ રાજ્યોના 64 દીક્ષાર્થીઓ પોતાના પૂરા પરિવાર
સાથે જોડાયા હતા. અધ્યાત્મનગરીનું ઉદ્ઘાટન અમેરિકા રહેતા રાજેશભાઇ શાહે કર્યું હતું. દીક્ષા મંડપના ઉદ્ઘાટનનો લાભ પણ રાજેશ શાહ પરિવારે લીધો હતો. આ અવસરે અધ્યાત્મ પરિવાર
સંસ્થાએ કરેલા વિરાટ જૈન શાસનનાં કાર્યોની ઝાંખી કરાવતી પદાર્થની, આ મનુષ્ય જીવન કેવી રીતે જીવવું તે સમજાવતી
કળામય પ્રસ્તુતિ કરતી પ્રદર્શની પણ મુલાકાતીઓ માટે ખુલ્લી મુકાઈ હતી. ધર્મની રક્ષા
માટે જોમ જગાડે તેવી શાસન શૌર્યગાથાનો પણ પ્રારંભ થયો હતો. આ શૌર્યગાથાની એક કલાકની
પ્રસ્તુતિમાં અનેક મુલાકાતીઓ લાભ લેશે. ઉત્સવના
પ્રથમ દિવસે બપોરે 64 દીક્ષાર્થીઓના
દીક્ષાના ઉતારણીની છાડ સજાવવામાં આવી તથા દીક્ષાના
વસ્ત્રોને કેસરના મંગળ તિલકથી રંગવાનો કાર્યક્રમ તથા દીક્ષાર્થીઓને મહેંદી રસમનો કાર્યક્રમ
પણ સંગીતમય વાતાવરણમાં સંપન્ન થયો હતો. સાંજે વિશિષ્ટ સંધ્યાભક્તિ પણ લોકોનાં આકર્ષણનું
કેન્દ્ર બની હતી તેવું એક યાદીમાં મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું.