ગાંધીધામ, તા. 11 : ગાંધીધામ-આદિપુરની મધ્યમાં
ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા નિર્મિત ગાંધીધામ સિટી મોક્ષધામનો આવતીકાલથી આરંભ કરાશે. ગાંધીધામ-આદિપુર ટાગોર માર્ગથી
રોટરી ફોરેસ્ટ ગાર્ડન તરફ જતા અંદરના માર્ગે, ડીસી-5ની પાછળ, દીનદયાલ પોર્ટ ઓથોરિટી તથા ગાંધીધામ મ્યુનિસિપલ
કોર્પોરેશનના સહયોગથી આ સ્મશાનભૂમિનું નિર્માણ
કરાયું છે. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી સંચાલિત ગાંધીધામ સિટી મોક્ષધામ
10 એકર પરિસરમાં બનાવવામાં આવ્યું છે. પરિસરમાં શિવ મંદિરનું ભૂમિપૂજન તાજેતરમાં કરવામાં
આવ્યું હતું તેમજ અન્ય જરૂરી સુવિધાઓ અને વ્યવસ્થાઓ પૂરી કરવાની કામગીરી ત્વરિત હાથ
ધરવામાં આવી રહી છે. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પૂર્વ પ્રમુખ તેજા કાનગડ અને માનદમંત્રી મહેશ તીર્થાણીએ જણાવ્યું
હતું કે, મોક્ષધામનું સૂચારુ સંચાલન ગાંધીધામ-આદિપુર
જોડિયા શહેર તેમજ આજુબાજુના સર્વ નાગરિકો માટે સમર્પિત રહેશે. આ જગ્યા ફક્ત એક સુવિધા
નહીં, પરંતુ માનવીય સંવેદનાના પ્રતાબિંબરૂપ છે. અહીં દરેક અંતિમ
વિદાયને સન્માન અને શાંતિ સાથે અંજલિ આપવામાં આવી શકે તેવો માહોલ નિર્માણ કરવાનો સંકલ્પ
છે. આ રીતે, શહેરના સમસ્ત નાગરિકો માટે ગાંધીધામ સિટી મોક્ષધામ
વિધિવત પ્રારંભ થવાથી એક લાંબા સમયથી અનુભવાતી જરૂરિયાત પૂર્ણ થઈ છે.