મુંદરા, તા. 4 : મુંદરા પોર્ટ પર કસ્ટમ તંત્ર
હેઠળનાં કન્ટેનરોની તપાસ માટેનું સ્કેનર બગાડતાં આયાતકારો મુશ્કેલીમાં મુકાયા હોવાની
અને ખોટા ખર્ચના ખાડામાં જતા હોવાની કચ્છમિત્રનાં
માધ્યમથી ઉઠેલી ફરિયાદોનો પડઘો પડયો છે અને આ લખાય છે, ત્યારે મશીનનો મહત્ત્વનો બગડેલો પાર્ટ મગાવીને
એનું ઇન્સ્ટોલેશન થઈ ગયું છે અને આજ રાત સુધીમાં સંપૂર્ણ સ્કેનર આધારિત પરિવહન થઇ જવાની
આશા સેવાઈ રહી છે. સત્તાવાર મળતી માહિતી મુજબ,
કચ્છમિત્રના અહેવાલને પગલે કસ્ટમ તંત્રમાં રાજ્ય અને કેન્દ્રીય સ્તર
સુધી પડઘા પડયા હતા અને પાર્ટ લાવવામાં કેમ
વિલંબ થાય છે તેની તપાસ કરીને તાત્કાલિક મોકલવાના ચક્રો ગતિમાન થયાં હતાં. જેને પગલે જાપાનથી ટીમ આવી ચૂકી છે અને અતિ મહત્ત્વના
એવા જરૂરી પાર્ટનું ઇન્સ્ટોલેશન કાર્ય આજે પૂર્ણતાને આરે છે. મંગળવારે સાંજે લખાય છે,
ત્યારે એક કન્ટેનરનું ટેસ્ટિંગ સ્કાનિંગ થઈ ચૂક્યું છે અને હવે વધુ 8 - 10 કન્ટેનરની તપાસ બાદ મરંમત કરનારાં
મશીનની કંપની સ્કેનરની સોંપણી કસ્ટમ તંત્રને કરી દેશે. આજે રાતના 12 વાગ્યાથી પૂર્ણ રીતે સ્કેનર કાર્યરત થઈ જવાની આશા સેવાઈ રહી
છે. ટ્રેડ સાથે સંકળાયેલાં વર્તુળોએ લાંબા
સમયથી અટકેલી આ સમસ્યાને કચ્છમિત્ર અખબારે વાચા આપ્યા બાદ ઉકેલની કાર્યવાહીથી અખબાર
પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કર્યો હતો.