• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

નેત્રનિદાન કેમ્પનો 78 ટ્રક ડ્રાઇવરે લાભ લીધો

ભુજ, તા. 13 : વેપારી અગ્રણી સ્વ.અરાવિંદભાઈ હીરજીભાઈ ઠક્કરની સ્મૃતિમાં અંધજન મંડળ કે.સી.આર.સી. આંખની હોસ્પિટલ, ભુજ અને સાઈટ સેવર ઇન્ડિયા દ્વારા સંચાલિત `રાહી દ્રષ્ટિ કેન્દ્ર' દ્વારા ભુજ જથ્થાબંધ બજારમાં ટ્રકના ડ્રાઇવર જેમની પાસે હેવી લાઇસન્સ હોય એમને આંખની તપાસ કરી નંબર ચેક કરી અને નિ:શુલ્ક ચશ્મા આપવાના કેમ્પનું આયોજન કરાયું હતું. ભુજ જથ્થાબંધ બજાર, અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપનો સહયોગ મળ્યો હતો. આ નેત્ર નિદાન સારવાર કેમ્પમાં ભુજ જથ્થાબંધ બજારના પ્રમુખ મેહુલભાઈ રમેશભાઈ ઠક્કર, અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપના ઉપપ્રમુખ રાજેશ પલણ, ભુજ લોહાણા મહાજનના મંત્રી કમલભાઈ કારિયા, ખજાનચી હિતેશભાઈ ઠક્કર, રામજીભાઈ મજેઠિયા, ભુજ જથ્થાબંધ બજારના ટ્રસ્ટી દામોદરભાઈ કરવા, પ્રમોદભાઈ કોઠારી, અભયભાઈ ખુશાલ શાહ, હસમુખભાઈ ઠક્કર વગેરે વેપારી અગ્રણીઓએ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. ભુજ જથ્થાબંધ બજારના પ્રમુખ મેહુલભાઈ રમેશભાઈ ઠક્કરે જણાવ્યું કે સ્વ.અરાવિંદભાઈ ઠક્કરે ઘણા વર્ષો સુધી વેપારીઓના પ્રશ્નો માટે જાગૃત રહી અને ન્યાય અપાવ્યો હતો. અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપના ઉપપ્રમુખ રાજેશ પલણે જણાવ્યું કે, સ્વ.અરાવિંદભાઈ ઠક્કરે સતત વેપારી ભાઈઓ સાથે રહીને એમના પ્રાણપ્રશ્નોનો ઉકેલ લાવ્યો હતો અને આ કેમ્પમાં  (78) દર્દીની આંખની તપાસ કરવામાં આવી અને (70) દર્દીને નંબર ચેક કરી ને નિ:શુલ્ક ચશ્મા આપવામાં આવ્યા હતા. મોતિયા અને વેલના દર્દીઓના નિ:શુલ્ક ઓપરેશન કરી અપાયા હતા. વિઝન સેન્ટર કાયમી રીતે શરૂ કરવામાં આવ્યું હોવાની વિગત અપાઇ હતી. કેન્દ્ર વિશે વધુ માહિતી માટે અંધજન મંડળ કે.સી.આર.સી ભુજના મેનેજર અરવિંદભાઇ ગોહિલનો સંપર્ક કરવા જણાવાયું છે. સૂર્યદીપસિંહ ગોહિલ, મિતરાજસિંહ ગોહિલ, રશ્મિતાબેન મહેશ્વરી, દક્ષાબેન મહેશ્વરી વગેરેએ કેમ્પમાં સેવા આપી હતી. અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ જયેશભાઇ સચદે તથા હરેશભાઇ તન્ના દ્વારા આયોજન કરાયું હતું. સંચાલન હિતેશભાઇ ઠક્કરે તો સ્વાગત પ્રવચન અભયભાઇ શાહ અને આભારવિધિ દામોદરભાઇએ કરી હતી.

Panchang

dd