ભુજ, તા. 9 : ત્રીજી ડિસેમ્બર 1971માં ભુજમાં કલેક્ટર કચેરીમાં બેઠો હતો ને આદેશ
આવ્યો કે, ભારત-પાકિસ્તાન
વચ્ચે લડાઇ શરૂ થઇ ચૂકી છે. આદેશ મળતાંની સાથે ખુરશી પરથી ઊભો થઇ ગયો ને જિલ્લાના સમાહર્તા
તરીકે સૌથી પહેલાં ભુજ એરફોર્સના વડા વિજય કર્ણિકને મળ્યો. આ શબ્દોએ વખતના કચ્છના કલેક્ટર
એન. ગોપાલાસ્વામીના છે. 81 વર્ષની
ઉંમરે ચેન્નાઇથી `કચ્છમિત્ર' સાથે વાત કરતાં કચ્છના પૂર્વ
કલેક્ટર ગોપાલાસ્વામીએ 54 વર્ષ પહેલાંની એ ઘટનાનું ટેલિફોન પર વર્ણન કર્યું
હતું. તેમણે કહ્યું હતું કે, કચ્છની જનતાનો જુસ્સો ગજબનો છે. 1971નો યુદ્ધ વખતે તે નજરે જોયો અને અનુભવ્યો હતો.
આ વખતે 2025માં યુદ્ધ જેવા માહોલમાં કચ્છ એવા જ રાષ્ટ્રવાદ
અને હિંમત સાથે પરિસ્થિતિનો સામનો કરશે એવો પોતાને વિશ્વાસ છે. મે-1971માં કચ્છના કલેક્ટર તરીકે કચ્છમાં મને મૂકવામાં આવ્યા, પરંતુ બીજા જ મહિને જૂનમાં
સંદેશો મળ્યો કે લડાઇ સંભવ છે તૈયાર રહેવું, નાગરિક સંરક્ષણના
ડાયરેક્ટરની સૂચના પ્રમાણે સૌથી પહેલાં નાગરિક સંરક્ષણના વડાની નિમણૂક કરવાની હતી.
સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા કરી પણ એ સમયે થોડી જાગૃતિનો અભાવ હતો. એ સમયના એરફોર્સના
વડા શ્રી કર્ણિક પણ આવ્યા ને સિવિલ ડિફેન્સની બેઠક બોલાવી સમજ આપી હતી. લોકોમાં ભય
ન ફેલાય, લડાઇ થાય તો સામનો કરવા વગેરે સમજ અપાઇ હતી. બસ,
પાંચ મહિના બાદ '71-ડિસેમ્બરમાં ત્રીજી તારીખે જંગ શરૂ થઇ ચૂક્યો હતો. ગોપાલાસ્વામીએ મુલાકાતમાં ઘણા જૂના સંસ્મરણો વાગોળ્યાં, પરંતુ મહત્ત્વનો કિસ્સો 9 ડિસેમ્બરનો હતો જે પાક વિમાનોએ ભુજ એરપોર્ટ
પર બોમ્બમારો કરી નુકસાન પહોંચાડતાં અચાનક પડકાર સામે આવ્યો હતો. એરફોર્સના ચીફ વિજય
કર્ણિકે રન-વે રિપેર કરવાની વાત કરતાં તુરંત મેં કલેક્ટર તરીકે માધાપરના એ વખતના સરપંચ
વી. કે. પટેલને બોલાવી 200 માણસો
માગ્યા. તેમણે તુરંત માધાપરની એ વીરાંગના બહેનો સાથે ટીમો મોકલી આપી હતી. ચાર દિવસમાં
કામ પૂર્ણ કરી દેવાયું હતું. આપણા જવાનો શહીદ થયા હોવાના દુ:ખદ પ્રસંગો પણ વાતચીતમાં
વર્ણવ્યા હતા, પરંતુ આ 71નાં
યુદ્ધ વખતે ભુજના લોકોમાં ભયનો માહોલ હતો. બળદિયા, અંજાર નજીક પડેલા બોમ્બ વગેરેથી અફરાતફરી
હતી. એટલે નાગરિકો ભાગવા જતા હતા. એ સમયે એસ.ટી.ના નિયામક એન.આર. રાજ્યગુરુ હતા. સ્થાનિક
આગેવાનોમાં કુંદનભાઇ ધોળકિયા, ડો. મહિપતરાય મહેતા, ડો. રાજારામ, નિર્મલસિંહ જાડેજા, કુમુદિની પંચોલીનો સહકાર મળ્યો હતો
અને એસ.ટી.ની વધારાની બસો શરૂ કરવા જણાવાયું જેથી લોકોનો ભય નીકળી જાય એવો પ્રયાસ હતો.
પરંતુ એ સમયે એક વરિષ્ઠ અધિકારીએ કરેલી ભૂલથી સૌ ચોંકી ગયા હતા. કેમ કે આંતરિક વિગ્રહ
થઇ જાય તેવી સ્થિતિ હોવાથી વધુ વિગતો હવે ટાળીને
કહ્યું કે, દિલ્હીથી સૂચના આવી કે રાજ્યના પોલીસવડાની સૂચના સિવાય
કોઇ નિર્ણય નહીં માનવા. આ નિર્ણય થકી મોટી રાહત થઇ હોવાનું આજે પણ તેમને યાદ છે એવું
દોહરાવ્યું હતું. પોતે અઢી વરસ કચ્છના કલેક્ટર તરીકે રહ્યા ને આ યુદ્ધ દરમ્યાન ભારતનો
વિજય થયો ને થરપારકર, નગરપારકરનો કબજો લેવા વહીવટી અધિકારી તરીકે
મને જવાની સૂચના મળી હતી એમ કહ્યું હતું. કચ્છના કલેક્ટરપદેથી કારકિર્દીમાં આગળ વધી
ચૂકેલા આ વરિષ્ઠ નિવૃત્ત અધિકારી દેશના મુખ્ય ચૂંટણી કમિશનર સુધી પહોંચ્યા હતા. ટાંચા
સાધનો, વાહનવ્યવહારથી માંડી રસ્તા ખરાબ છતાં યુદ્ધમાં હોંસલો
મજબૂત હતો. આજે તો આપણા દેશે એટલી ક્રાંતિ કરી છે કે, ઘર બેઠાં
ટેકનોલોજીનાં માધ્યમથી દુશ્મનોને ઢેર કરી શકીએ છીએ. ગાંધીનગર વાત કરવા માટે ડાયરેક્ટ
હોટલાઇન હતી, છતાં ત્રણ મિનિટે ફોન લાગતો. હવે સેકન્ડમાં વાત
થઇ જાય છે. માધાપરની એ વીરાંગનાઓને સન્માનિત કરવા ગવર્નર શ્રીમનનારાયણ આવ્યા હતા. બહેનોએ
જે કામ કર્યું હતું એનું મહેનતાણું પણ લીધું નહીં ને રાષ્ટ્ર સેવાને સમર્પિત કર્યું
હતું. ભુજ સ્વામિનારાયણ મંદિર તરફથી કરાયેલી ભોજન વ્યવસ્થાને પણ યાદ કરી હતી. એર ચીફમાર્શલ
પી. સી. લાલ આભાર માનવા આવ્યા હતા. 2009માં મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિવૃત્ત થયા બાદ તેમને 2015માં પદ્મવિભૂષણનો ખિતાબ મળ્યો હોવાનો ઉલ્લેખ
કર્યો હતો. એ સમયે પોતાની ઓળખ ન થાય એટલે ખાખી કપડાં પહેરીને ફરતો હતો એ પણ આ મુલાકાતમાં
જણાવ્યું હતું. આટલા ટાંચા સાધનો વચ્ચે પણ દુશ્મનોના દાંત ખાટા કરી નાખ્યા હતા. હવે
તો ભારતે 54 વર્ષમાં જે પ્રગતિ કરી છે, તેનો કોઇ જોટો નથી. પાકિસ્તાન તરફથી કોઇ નુકસાન થઇ શકે
નહીં. આપણી ત્રણેય સેના મજબૂત અને સક્ષમ છે એવું દિલ્હીમાં પણ જાણી ચૂક્યો છું. એટલે
ચિંતા-ભયનો કોઇ વિષય નથી એમ કહીને કચ્છીઓનો હોંસલો વધાર્યો હતો. અંતમાં કચ્છીઓના પ્રેમનાં
કારણે આજે પણ અમુક કચ્છી શબ્દો યાદ હોવાનું કહ્યું હતું.