મોટી વિરાણી (તા. નખત્રાણા),
તા. 30 : નખત્રાણાથી
30 કિ.મી. દૂર આવેલા તાલુકાના
કરોલપીર ગામે કોમી એકતાના પ્રતિક હઝરત કરોલ કાસમ (ર.અ.) અર્થાત કરોલ પીરના ત્રિદિવસીય
મેળામાં દોઢ લાખ જેટલા શ્રદ્ધાળુઓએ શીશ ઝુકાવ્યા હતા. ચાદરપોશી, કચ્છી પાવા તેમજ કચ્છી બખ મલાખડો માણવા દૂર
દૂરથી મલાખડાના માણીગરો ઉમટયા હતા. મેળામાં સોમવારે સંદલ સાથે ચાદરપોશી કરાઇ હતી. સરપંચ
વિમળાબેન પટેલ, દિલીપસિંહ સોઢા, મુજાવર
ઉમરભાઇ, અલીભા થૈમ વિ.ના હાથે ચાદરપોશી કરાઇ હતી. કચ્છના નામી
કલાકારો મુબારક ગજણ, સોતા ગુલામ, આરબ જત,
મુશા પારા વિ.એ સુફિયાના રાગ-રાગણીના કલામો, કવ્વાલી,
કચ્છી કાફી દ્વારા સહેલાણીઓને ડોલાવ્યા હતા. વાવલ અને દાંડિયાએ મેળામાં આકર્ષણ જમાવ્યું હતું.બપોર બાદ કચ્છના બખ
મલાખડાની સૌએ મોજ માણી હતી. મલાખડામાં હુશેન સુમરા, પ્રેમજી કોલી,
ઇશા સંઘાર, ઉમર જત વિજેતા રહ્યા હતા. ગની નીતિયા,
ઓસમાણ સુમરા, જત હાજી મામદ સોઢા સહયોગી રહ્યા હતા.
ઉપસરપંચ સિધીક લુહાર, દિલીપસિંહ સોઢા, ઇસ્માલ પિંજારા, નોતિયાર હાસમભાઇ, વેરશીભાઇ આહીર, આમદ નોતિયાર, વિશ્રામ
મહેશ્વરી વિ. ઉપસ્થિત રહ્યા હતા. સરપંચ પુત્ર પીયુષ પટેલ અને માજી સરપંચ વેરસીભાઇ આહીરે
જણાવ્યું હતું કે, કચ્છી સંસ્કૃતિને ઉજાગર કરતા આ મેળામાં ગ્રામીણ મહિલા-પુરુષો ભાતીગળ
પોશાકમાં સજીને મેળો માણે છે. તથા ત્રીજા દિવસે આસપાસના ગામલોકો પાખી પાળતા હોવાનું
ઉમેર્યું હતું. દરગાહમાં મુજાવર પરિવારના સુમારભાઇ તથા ઉમરભાઇ મઝાર સહયોગી રહ્યા હતા.
પંચાયત દ્વારા પાણી તથા સફાઇ વ્યવસ્થા તથા પી.આઇ. મકવાણાની દોરવણી હેઠળ પોલીસ સ્ટાફે
વ્યવસ્થા સંભાળી હતી. આરોગ્ય માટે દેશલપર ગુંતલી સીએચસી સ્ટાફ સહયોગી રહ્યો હતો. કરોલપીરના
મેળા સાથે દોઢ કિ.મી. દૂર ભાકર છાવલીની મઝારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ સલામી ભરી
હતી અને અહીં આવેલા ઐતિહાસિક ભોંયરાના દર્શનનો લાભ લીધો હતો.