• બુધવાર, 21 મે, 2025

સૂર્યનારાયણનાં રૌદ્ર સ્વરૂપથી ભચાઉ પંથકનું જનજીવન અસરગ્રસ્ત

ભચાઉ, તા. 20 : છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પારો ઊંચકાયો છે, જેની ભચાઉ પંથકના જનજીવન અસર વર્તાઈ રહી છે. ગરમીના કારણે સ્થાનિક બજારને અરસ પડી હોવાનું ચિત્ર ઉપસ્યું હતું. આહીર સમાજમાં વૈશાખ વદ-13 અને લેવા પટેલના વૈશાખ સુદ-3 અખાત્રીજના  લગ્નો યોજાશે. જેને લઈને અનેક પરિવારો તૈયારી કરી રહ્યા છે. અલબત્ત આકાશમાંથી ઝરતી આગના કારણે મોટાભાગના લોકો બજારમાં ખરીદી કરવાની જગ્યાએ ઘરમાં રહેવાનું પસંદ  કરી રહ્યા છે, જેને કારણે સોના-ચાંદી આભૂષણની દુકાનો ખાલીખમ જોવા મળી રહી છે. કરિયાણાની દુકાન સહિત નાના વેપારીઓના વેપારને અસર પડી છે. સામાન્ય રીતે સવાર પડતાંની સાથે ગ્રામ્ય વિસ્તારના લોકો ખરીદી માટે ભચાઉની બજારમાં આવતા હોય છે. અલબત્ત વાયુવેગે આવતી લૂના કારણે બજારમાં  સંચારબંધી લાગે છે. સૂરજબારી-ભચાઉ અને ભચાઉથી આડેસર સુધીના માર્ગો ઉપર વાહનોની અવરજવર ઓછી થઈ હતી. ધોરીમાર્ગમાં આવતી હોટલો અને પેટ્રોલપંપ  પાસે બપોરના સમયે વાહનોના પૈડાં થોભી જાય છે. બાંધકામ કરતા શ્રમિકો  પણ  બપોરના સમયે કામને વિરામ આપી રહ્યા છે. બપોરના સમયની મોટાભાગની બસોમાં પ્રવાસીઓની પાંખી હાજરી  જોવા મળી હતી. નાના બાળકો અને વરિષ્ઠ નાગરિકોને બપોરના સમયે સૂર્યનો સીધો સંપર્ક ટાળવા અને સતત પાણી અને પ્રવાહી લેવા સ્થાનિક તબીબોએ લોકોને અપીલ કરી હતી. ગરમી સામે રાહત આપનાર પંખા, એસી, ફ્રીજ સહિતના ઈલેક્ટ્રિક ઉપકરણોની  બજારમાં માંગ વધી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd