• ગુરુવાર, 01 મે, 2025

ગાંધીધામ સંકુલે ડો. આંબેડકરને માનભેર સ્મર્યા

ગાંધીધામ, તા. 14 : બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકરજીની 134મી જન્મજયંતીની  ઉજવણી અંતર્ગત ગાંધીધામ સંકુલમાં વિવિધ સંસ્થા દ્વારા ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. કંડલા કોમ્પ્લેક્ષ મહેશ્વરી સમાજ દ્વારા આ ઉજવણીના ભાગરૂપે ઓસ્લો ચાર રસ્તા પાસે ડો. બાબાસાહેબની પ્રતિમા ઉપર હારારોપણ કરવા સાથે `જબ તક સૂરજ-ચાંદ રહેગા, બાબા તેરા નામ રહેગા'ના ગગનભેદી નારા લાગ્યા હતા. બાબાસાહેબે માનવતાના અધિકારો માત્ર અંત્યજોને જ નહીં, પરંતુ રાષ્ટ્રના સર્વ સમાજના લોકોને હક અધિકારો અપાયા છે. ઉપસ્થિત મહેમાનોએ જણાવ્યું હતું. ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીની ગ્રાન્ટમાંથી ઓસ્લો ચાર રસ્તા પાસે ડો. બાબાસાહેબની પ્રતિમા તથા સર્કલ સહિતનાં કાર્ય પૂર્ણ  થશે. આવનારાં આયોજનમાં સમાજ દ્વારા ઢોલ-નગારાં સાથે યોજાનારી શોભાયાત્રામાં મહેશપંથી ધર્મગુરુઓ, ભાઈઓ અને બહેનો, વિદ્યાર્થીઓ સહિતના જોડાશે તેવું પ્રમુખ જીવરાજ ભાંભીએ જણાવ્યું હતું. દીનદયાલ પોર્ટ ઓથોરિટીના ડેપ્યુટી ચેરમેન સી. હરિશચંદ્રન સહિતે શ્રદ્ધાસુમન અર્પ્યાં હતાં. આ કાર્યક્રમમાં અખિલ ભારતીય માતંગ મંડળના પ્રમુખ ધીરજદાદા, ચંદુદાદા, કંડલા કોમ્પ્લેક્ષના મહામંત્રી પ્રહલાદ ઠોડિયા તથા કાનજી  સોલંકી, કરશન દનીચા, ગોવિંદ થારૂ, જેઠાલાલ પાતારિયા, હિરેન આયડી, હિરા ધુવા, કિશન દનીચા, જે.પી. મહેશ્વરી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આમ આદમી પાર્ટી (પૂર્વ કચ્છ) દ્વારા ગાંધીધામમાં બાબાસાહેબની પ્રતિમા ઉપર પુષ્પ અર્પણ કરી તેમને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. આ પ્રસંગે ડો. આંબેડકરજીના જીવનસંદેશમાંથી પ્રેરણા લેવા કાર્યકરોને અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મહામંત્રી નિલેશ મહેતા, શહેર મહિલા પ્રમુખ નિશાબેન, શહેર પ્રમુખ રાજુ લાખાણી, શહેર સચિવ રૈસી દેવરિયા, રાજુ શ્રીમાલી, કાન્તીભાઈ વણકર, હીરાભાઈ વણકર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ડો. બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મજયંતીના ઉપલક્ષમાં રાપર તાલુકા ગુર્જર મેઘવાળ સમાજ દ્વારા ગાંધીધામમાં શોભાયાત્રા નીકળી હતી, જે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાથી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈ, ઓસ્લો સર્કલ પાસે પૂર્ણ થઈ હતી. ત્યારબાદ અહીં પ્રતિમા ઉપર હારારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે `જય ભીમ'ના નારા લાગ્યા હતા. રાપર તાલુકા ગુર્જર મેઘવાળ સમાજ ગાંધીધામના પ્રમુખ માલશીભાઈ પરમાર, ઉપપ્રમુખ કાન્તિભાઈ ચૌહાણ, રામજી મુછડિયા, મોમાયાભાઈ ગોહિલ, જેસંગભાઈ, દુદાભાઈ દાફડા, રમેશભાઈ સોલંકી, નથુભાઈ ગોહિલ, કાન્તિભાઈ સોલંકી, રમેશ ધેડા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીધામ શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા ડો. બાબાસાહેબની પ્રતિમા ઉપર પુષ્પો અર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પાયાં હતાં. આ પ્રસંગે તેમણે દેશ માટે આપેલાં યોગદાનની વિગતો અપાઈ હતી. શહેર પ્રમુખ ભરત ગુપ્તા, તાલુકા પ્રમુખ દેવેન્દ્રસિંહ ઝાલા, સમીપભાઈ  જોષી, ચેતન જોષી, હાજી ગનીભાઈ માંજોઠી, બળવંતસિંહ ઝાલા, અબેઝ યેશુદાસ, અમિતભાઈ ચાવડા, નાગશીભાઈ નોરિયા સહિતના ઉપસ્થિત રહ્યા હોવાનું શહેર મહામંત્રી લતીફ ખલીફાએ એક યાદીમાં જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd