નવી દિલ્હી, તા. 9 : મધ્યપ્રદેશ
રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસનાં ઉમેદવાર મીનાક્ષી
નટરાજનની ઉમેદવારીને રિટર્નિંગ ઓફિસર દ્વારા રદ કરી નાખવામાં આવી છે. જેને પગલે રાજ્યસભાની
ત્રીજી બેઠક માટેનું ચૂંટણી સમીકરણ બદલાઈ ગયું છે અને ભાજપનાં ત્રણેય ઉમેદવાર બિનહરીફ
ચૂંટાઈ જવાની સંભાવના પ્રબળ બની છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે, આ લોકતંત્રની હત્યા છે, જ્યારે ચૂંટણી પંચે આ મામલે કાર્યવાહી
માટે પ્રતિનિધિ મંડળ સાથે બુધવારે બપોરે મુલાકાત કરશે, તો ભાજપે
ચૂંટણી પંચના નિયમ મુજબ જ કાર્યવાહી થઇ હોવાનું જણાવ્યું હતું. રાજ્યસભા ચૂંટણી માટે
કોંગ્રેસનાં ઉમેદવાર મીનાક્ષી નટરાજનનાં નામાંકન પત્ર સામે ભાજપે વાંધો લીધો હતો. ભાજપનો
આરોપ હતો કે, મીનાક્ષીએ પોતાનાં સોગંદનામામાં હૈદરાબાદની એક કોર્ટમાં
પેન્ડિંગ કેસની જાણકારી આપેલી નથી. જેનાં આધારે ભાજપે ઉમેદવારી રદ કરવાની માગણી કરી
હતી. જ્યારે કોંગ્રેસનું કહેવું છે કે, મીનાક્ષી વિરુદ્ધ કોઈ
અપરાધિક કેસ નોંધાયેલો નથી. માત્ર અદાલતની નોટિસ મળી હતી. તેથી સોગંદનામામાં તેનો ઉલ્લેખ
કરવાની કોઈ જવાબદારી બનતી નથી.