ઈમ્ફાલ તા.3 : મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન આવતા વર્ષે સમાપ્ત થવાનું છે અને
ભાજપના નેતાઓ તે પહેલાં સરકાર બનાવવા માગે છે, ત્યારે મંગળવારે દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના નેતા યુમનામ
ખેમચંદ સિંહને મણિપુર ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા. તેઓ મણિપુરના
નવા મુખ્યમંત્રી બનશે. એક મીડિયા હેવાલ મુજબ, ભાજપ મુખ્યાલય ખાતે
મણિપુરના ભાજપ ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી. આ પહેલાં સોમવારે ભાજપે પાર્ટીના રાષ્ટ્રીય
મહાસચિવ તરુણ ચુઘને મણિપુરમાં નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા હતા. અગાઉ, ભાજપના મહામંત્રીઓએ બીજેપીના વિસ્તરણ કાર્યાલયમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે
મુલાકાત કરી હતી. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન, સંગઠન મહામંત્રી બીએલ સંતોષ અને રાષ્ટ્રીય મહામંત્રી સુનીલ બંસલ હાજર રહ્યા
હતા. નોંધનીય છે કે, ભૂતપૂર્વ મુખ્યમંત્રી એન બિરેન સિંહે ગત
ફેબ્રુઆરી, 2025ના તેમના
પદ પરથી રાજીનામું આપ્યું હતું, જે પછી
મણિપુર વિધાનસભાનું વિસર્જન કરાયું અને 13 ફેબ્રુઆરી, 2025ના રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન
લાદવામાં આવ્યું હતું. - કોણ છે યુમનમ
ખેમચંદ સિંહ? : યુમનામ ખેમચંદ સિંહ મણિપુરના એક અગ્રણી
ભાજપ નેતા છે અને બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ 2017 અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં સિંગજામેઈ
વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયા હતા. જે મણિપુરના રાજધાની ક્ષેત્રમાં તેમની મજબૂત
રાજકીય પકડને સ્પષ્ટપણે દર્શાવે છે. રાજ્યમાં ચાલી રહેલા રાજકીય વિકાસ વચ્ચે પાર્ટી
પોતાના નેતૃત્વને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે ભાજપના વરિષ્ઠ નેતા યુમનામ
ખેમચંદ સિંહને આ જવાબદારી સોંપવામાં આવી છે.