ટોક્યો, તા. 9 : જાપાનમાં રવિવારે 6.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જે પછી ઈવાતે પ્રાંતમાં સુનામીનું એલર્ટ જારી
કરાયું હતું. ઈવાતે પ્રાંતના ઓફુનાટો શહેરમાં તટીય ક્ષેત્રોના 2,825 ઘરને ખાલી કરવાનો આદેશ અપાયો
હતો, તો 6138 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. એક મીડિયા
હેવાલ મુજબ, જાપાનના હવામાન વિભાગે
જણાવ્યું હતું કે, ઈવાતેના ઓફુનાટોમાં 10 સેન્ટિમીટરની સુનામી જોવા મળી
હતી. સાંજના સમયે દરિયા તટથી 70 કિમી દૂર
સુનામીની હલચલ જોવા મળી હતી. જારી કરાયેલા એલર્ટમાં એક મીટર સુધી મોજાં ઉછળી શકે તેવી
આશંકા વ્યક્ત કરાઈ છે. બીજી તરફ મોરિયોકા શહેર અને ઈવાતેના યાહાબા ક્ષેત્રની સાથોસાથ
પડોશી પ્રાંત મિયાગીમાં પણ ભૂકંપની તીવ્રતા 4 મપાઈ હતી. પૂર્વી જાપાન રેલવે તરફથી જારી કરાયેલા નિવેદનમાં
તોહોકૂ શિંકાનસેનમાં થોડા સમય માટે વીજળી ડૂલ રહેતાં સેંડાઈ અને શિન-આઓમોરી સ્ટેશનો
વચ્ચે પરિચાલન સ્થગિત કરી દેવાયું હતું. આ પહેલાં ગત પાંચમીએ પણ જાપાનમાં ભૂકંપના ઝાટકા
અનુભવાયા હતા, જેની તીવ્રતા રિખ્ટર સ્કેલ
પર 6.0 મપાઈ હતી, જેનું કેન્દ્ર જમીનથી 50 કિમી ઊંડાણમાં હતું.