નવી દિલ્હી, તા. 13 : દેશનો
સામાન્ય માણસ મોંઘવારીથી બેહાલ છે,
ત્યારે સરકારી આંકડાની આંખે છૂટક મોંઘવારી દર આઠ વર્ષનાં તળિયે સરકી
ગયો હોવાનું જાણવા મળે છે. સપ્ટેમ્બર મહિનામાં છૂટક મોંઘવારી અગાઉના મહિનાના 2.07 ટકા
સામે ઘટીને 1.54 ટકા થઇ ગઇ હતી. કેન્દ્ર સરકારે સોમવારે
આંકડા જારી કર્યા હતા. ગ્રાહક મૂલ્ય સૂચકાંક આધારિત મોંઘવારી સપ્ટેમ્બર 2024માં 5.49 ટકા
હતી. ખાવા-પીવાની કેટલીક વસ્તુઓના ભાવોમાં ઘટાડો આવવાનાં કારણે છૂટક મોંઘવારી ઘટી
છે, તેવું
સરકારનું કહેવું છે. મોંઘવારીના બાસ્કેટમાં 50 ટકા યોગદાન ખાવા-પીવાની ચીજોનું
હોય છે, જેની
મહિને દર મહિને મોંઘવારી માઇનસ 0.64થી ઘટીને માઇનસ 2.28 ટકા
થઇ ગઇ છે. સપ્ટેમ્બર મહિનામાં ગ્રામીણ મોંઘવારી દર 1.69 ટકામાંથી ઘટીને 1.07 ટકા
થઇ ગયો હતો, તો
શહેરી મોંઘવારી દર 2.47 ટકામાંથી ઘટીને 2.04 ટકા થઇ ગયો હતો. શાકભાજી, તેલ, મસાલા, ફળો, દાળ, અનાજ, ઇંધણ વગેરે વસ્તુઓની કિંમતો નીચી જવાનાં કારણે
છૂટક મોંઘવારી દર ઘટયો છે. ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ)નું લક્ષ્ય મોંઘવારીને બેથી
ચાર ટકાની સીમા-મર્યાદામાં રાખવાનું છે.