પટણા, તા. 13 : બિહાર
વિધાનસભા ચૂંટણી પહેલાં સોમવારે લાલુપ્રસાદ યાદવ પરિવારને મોટો ઝટકો લાગ્યો હતો.
દિલ્હીની રાઉઝ એવેન્યૂ કોર્ટે લાલુપ્રસાદ,
પત્ની રાબડીદેવી અને પુત્ર તેજસ્વીને આઈઆરસીટીસી કૌભાંડ મામલામાં
આરોપી માન્યા હતા. હવે ત્રણેય સામે કેસ ચાલશે. લાલુપ્રસાદની જાણકારીમાં જ ટેન્ડર
કૌભાંડનો કારસો રચાયો હતો, તેવું અદાલતે જણાવ્યું હતું.
કોર્ટે કહ્યું હતું કે, ટેન્ડરમાં હસ્તક્ષેપ કરાયો, જેનાથી લાલુ પરિવારને ફાયદો થયો. બીજી તરફ, પૂર્વ
રેલવેમંત્રી યાદવે આ આરોપોને પાયાવિહોણા લેખાવ્યા હતા. આ મામલો રાંચી અને પુરી
સ્થિત બે આઈઆરસીટીસી હોટેલોના ટેન્ડરમાં ભ્રષ્ટાચાર સાથે જોડાયેલો છે. બિહારમાં
ચૂંટણી પહેલાં અદાલતનો આરોપ ઘડીને કેસ ચલાવવાનો ફેંસલો યાદવ પરિવારની સાથોસાથ
રાજદની પરેશાની વધારી શકે છે. અગાઉ લાલુપ્રસાદ યાદવ વ્હીલચેરમાં બેસીને અદાલતમાં
પહોંચ્યા હતા. રાબડીદેવી અને પુત્ર તેજસ્વી પણ તેમની સાથે હતા.