• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

સિનેમા રાષ્ટ્રનિર્માણનો આત્મા : અદાણી

મુંબઇ, તા. 12 : અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ વ્હિસાલિંગ વૂડ્સ ઇન્ટરનેશનલ ખાતે ફિલ્મ વિશે ભણતા વિદ્યાર્થીઓને ખાસ ભાષણ આપ્યું હતું. સિનેમાને રાષ્ટ્રનિર્માણનો આત્મા ગણાવતાં તેમણે  જણાવ્યું હતું કે, કોઈપણ કથાવસ્તુ ભલે તે કલા, મીડિયા કે બજારોમાં હોય પણ તે ભાગ્યને બદલવાની શક્તિ ધરાવે છે. `જીના યહાં, મરના યહાં : રાષ્ટ્રનિર્માણનો સિનેમેટિક આત્મા' શીર્ષક ધરાવતા મુખ્ય ભાષણમાં તેમણે જણાવ્યું કે, `િસનેમાની ગતિમાં કવિતા, રંગમાં ફિલસૂફી અને અવાજમાં રાષ્ટ્રનાં હૃદયના ધબકારા છે.' ગૌતમભાઇએ ફિલ્મોને સમાજની સામૂહિક સ્મૃતિ, સંસ્કૃતિઓ વચ્ચે સેતુ ગણાવી સોફ્ટ પાવરના શક્તિશાળી સ્વરૂપ તરીકે વર્ણવી હતી. મુંબઈની ફિલ્મ સિટીમાં 20 એકરના કેમ્પસમાં ફિલ્મ સર્જક સુભાષ ઘાઈ દ્વારા 2006માં સ્થાપિત, વ્હિસાલિંગ વૂડ્સ ઇન્ટરનેશનલ ભારતની અગ્રણી ફિલ્મ સંદેશાવ્યવહાર અને સર્જનાત્મક કળા સંસ્થાઓમાંની એક છે. જાણીતા ફિલ્મ કલાકાર ગુરુદત્ત અને રાજ કપૂરને શતાબ્દી નિમિત્તે શ્રદ્ધાંજલિ આપતાં અદાણીએ કહ્યું હતું કે, તેમના કાર્યોએ સિનેમાની પરિવર્તનશીલ શક્તિનું ઉદાહરણ આપ્યું છે. અદાણીએ પોતાની જીવનકથા સાથે સિનેમાને જોડતાં જણાવ્યું હતું કે, મારી વ્યક્તિગત યાત્રાને સિનેમાએ આકાર આપ્યા હતા. `હું 16 વર્ષના બાળક તરીકે ખાલી ખિસ્સા સાથે પણ સપનાંઓથી ભરેલાં આકાશ સાથે મુંબઈ આવ્યો હતો. 30 વર્ષની ઉંમર સુધીમાં, મેં ભારતનું સૌથી મોટું વેપારી ઘર બનાવ્યું હતું, 32 વર્ષની ઉંમર સુધીમાં મેં તેને જાહેરમાં રજૂ કરી દીધું હતું અને 34 વર્ષની ઉંમરે હું બંદરો અને પાવર ઉદ્યોગમાં હતો. હું જે હીરોને જોઈને મોટો થયો છું તે ખરેખર વાસ્તવિક જીવનમાં જીવી શકાય છે.' યુએસ શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચના જાન્યુઆરી 2023ના અહેવાલનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે `હિંડનબર્ગનો આ અહેવાલ વૈશ્વિક ઇકો ચેમ્બરમાં ફેલાવવામાં આવેલી ખોટી ક્રિપ્ટ હતી. અદાણીએ સૂચવ્યું હતું કે હિંડનબર્ગ પ્રકરણ ફક્ત એક કંપની વિશે નહીં, પરંતુ ખોટી માહિતી અને ગોઠવાયેલી વાર્તાઓ બજારો અને અર્થતંત્રોને કેવી રીતે અસ્થિર કરી શકે છે તે વિશે છે. અદાણીએ સિનેમા તરફ આગાહી કરતાં જણાવ્યું કે એઆઈ  ફિલ્મ નિર્માણમાં ક્રાંતિ લાવશે. આ કાર્યક્રમમાં ઉદ્યોગજગતના દિગ્ગજો, શિક્ષણવિદો્ અને નીતિવિષયક વ્યક્તિઓ, જેમાં ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈ, ફેકલ્ટીના સભ્યો અને ભારતના મનોરંજન અને મીડિયા ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓ સાથે મળીને તેમણે અદાણીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.   

Panchang

dd