• બુધવાર, 21 મે, 2025

આનંદો... ચોમાસું ચાર દિવસ વહેલું આવશે

નવી દિલ્હી, તા. 10 : ઉકળાટની અકળામણ વચ્ચે આશ્વાસન આપે તેવા સમાચારરૂપે આ વખતે ભારતમાં નિયત સમય કરતાં ચોમાસું ચાર દિવસ વહેલું પહોંચી આવશે અને સામાન્ય કરતાં વધુ વરસાદ થશે. ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગે મંગળ વર્તારો આપતાં શનિવારે જણાવ્યું હતું કે, આ વખતે દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્ય) ચોમાસું પહેલી જૂનનાં સ્થાને 27મી મેના દિવસે કેરળનો કાંઠો ભીંજવી દેશે. જો આગાહી અનુસાર, ચોમાસું 27મી મેના જ આવી જાય, તો વરસાદી મોસમ આટલી વહેલી કેરળના કાંઠે પહોંચે તેવું 16 વર્ષમાં પહેલીવાર બનશે. અગાઉ, 2009માં ચોમાસું વહેલું આવ્યું હતું. દેશના મોસમ વિજ્ઞાન વિભાગે આ વખતે સામાન્ય કરતાં વધારે વરસાદ થવાની પણ આગાહી કરી હતી. આમ, અલનીનોની અસર નહીં થાય. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ. રવિચંદ્રને કહ્યું હતું કે, ભારતમાં આ વર્ષે ચાર મહિનાનાં ચોમાસાં દરમ્યાન સરેરાશ 87 સેન્ટીમીટરથી વધુ એટલે કે, 105 ટકા જેટલો વરસાદ વરસી શકે છે. સામાન્ય રીતે 9થી 104 ટકા વરસાદને સામાન્ય મનાય છે. 90 ટકા વરસાદને સામાન્ય કરતાં ઘણો ઓછો મનાય છે. દરમ્યાન, અંદામાન અને નિકોબારમાં 13મી મે સુધીમાં ચોમાસાંના ટકોરાની આગાહી મોસમ વિજ્ઞાન વિભાગે કરી હતી. અગાઉ, 2018માં 29મી મેના દિવસે ચોમાસાંએ કેરળનો કાંઠો ભીંજવ્યો હતો. દેશમાં કૃષિ પર 42 ટકા વસ્તીની આજીવિકા નિર્ભર છે, ત્યારે સામાન્ય કરતાં વધુ વરસાદના વર્તારાથી ખેડૂતોને મોટી રાહત મળી શકશે. સાથોસાથ ચોમાસું વરસાદ દેશનાં જળાશયો ભરવા તેમજ વીજળી ઉત્પાદનની દૃષ્ટિએ પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd