• બુધવાર, 21 મે, 2025

દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી

નવી દિલ્હી, તા. 30 : આખા દેશ માટે મોટા સમાચાર છે. ભારતની આઝાદી પછી પહેલીવાર જાતિ આધારિત વસ્તી ગણતરી કરાશે. જાતિગત વસ્તી ગણતરીના આંકડા જાહેર કરનાર દેશના પ્રથમ રાજ્ય બિહારમાં વિધાનસભા ચૂંટણીથી પહેલાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે બુધવારે `ઐતિહાસિક' કહી શકાય તેવા જાતિ આધારિત વસ્તી ગણતરીના  નિર્ણયનું એલાન કર્યું હતું. જો કે, આ કવાયત પૂરી કરવામાં એક વર્ષ જેટલો સમય લાગશે. એ જોતાં વસ્તી ગણતરીના અંતિમ આંકડા 2026ના અંતમાં અથવા 2027ના વર્ષની શરૂઆતમાં મળી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને આજે સવારે 11 વાગ્યે મળેલી કેન્દ્રીય પ્રધાન મંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. કેન્દ્રીયમંત્રી અશ્વિની વૈષ્ણવે આ નિર્ણયની જાણકારી આપી હતી. જાતિ આધારિત વસ્તી ગણતરીના એલાન બાદ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, અમે આ પહેલનું સમર્થન કરીએ છીએ, પરંતુ સરકારે તેના અમલની સમય સીમા  બતાવવી પડશે. તેમણે જણાવ્યું હતું કે, 1947થી જાતિ આધારિત વસ્તી ગણતરી કરાઈ નથી. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે જાતિના આધારે વસ્તી ગણતરીની વાત કરી હતી. જાતિ આધારિત વસ્તી ગણતરીના મુદ્દાનો કોંગ્રેસે માત્ર પોતાના ફાયદા માટે ઉપયોગ કર્યો, તેવો આરોપ પણ મોદી સરકારના મંત્રી વૈષ્ણવે મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, કેટલાક રાજ્યોએ આ કામ સુચારુરૂપે કર્યું છે. અમારી એવી કોશિશ છે કે, સામાજિક ગૂંથણીને અસર થવી ન જોઈએ. મોદી સરકારે ફેંસલો કર્યો છે કે, જાતિ ગણતરી મૂળ વસ્તી ગણતરીમાં જ સામેલ રહેશે. રાજકીય મામલાઓની કેબિનેટ સમિતિને `સુપર કેબિનેટ' કહેવાય છે. આ સુપર કેબિનેટની બેઠકમાં જાતિગત વસ્તી ગણતરીનો ઐતિહાસિક નિર્ણય લેવાયો હતો. આ `સુપર કેબિનેટ' કહેવાતી સમિતિના અધ્યક્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. સાથોસાથ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, ગૃહમંત્રી અમિત શાહ, માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી, નાણામંત્રી નિર્મલા સીતારામન તેમજ વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ આ ટોચની સમિતિમાં સામેલ છે. વર્ષ 2021માં કોવિડ મહામારીનાં કારણે વસ્તી ગણતરીની કવાયત ટાળી દેવાઈ હતી, સામાન્ય રીતે આ વ્યાયામ દર 10 વર્ષે થાય છે, પરંતુ આ વખતે વિલંબ થયો છે. સાથોસાથ વસ્તી ગણતરીનું ચક્ર પણ બદલાયું છે. નવી વસ્તી ગણતરી 2035માં કરાશે. ખાસ ઉલ્લેખનીય છે કે, કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપ પક્ષ પહેલાં જાતિગત વસ્તી ગણતરીના પક્ષમાં નહોતો. એનડીએ જોડાણે કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષો પર આરોપ મૂકયો હતો કે, વિપક્ષો જાતિગત વસ્તી ગણતરીથી દેશના ભાગલા કરવા માગે છે. જો કે, બિહારમાં કેસરિયા પક્ષે જ જાતિ આધારિત વસ્તી ગણતરીને સમર્થન આપ્યું હતું. 2023માં બિહાર જાતિગત વસ્તી ગણતરીના આંકડા જારી કરનાર દેશનું પ્રથમ રાજ્ય બની ગયું હતું. કોંગ્રેસ, બીજેડી, બસપા, રાજદ, સપા, એનસીપી-શદર પવાર  સહિત પક્ષો જાતિગત વસ્તી ગણતરીની માંગ કરતા રહ્યા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd