• બુધવાર, 21 મે, 2025

ન્યાયાધીશો પર ઉપરાષ્ટ્રપતિના પ્રહારોથી રાજકીય ઘમસાણ

નવી દિલ્હી, તા. 18 : ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાષ્ટ્રપતિ સંદર્ભે સુપ્રીમ કોર્ટ ઉપર કરેલી ટિપ્પણીએ રાજકીય ગરમી સર્જી હતી. વિરોધ પક્ષે તેમના વિધાનોને  ન્યાયપાલિકાના અપમાન સમી ગણાવીને આકરી ટીકા કરી હતી. કોંગ્રેસ, ડીએમકે, ટીએમસી સહિત પક્ષોના દિગ્ગજ કાયદાના જાણકારોએ ધનખડ પર બંધારણ અને અદાલતોની ગરિમાને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. આ વિવાદમાં ભાજપે કોંગ્રેસ પર પલટવાર કરતાં ઉપરાષ્ટ્રપતિનો બચાવ કર્યો હતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રણદીપ સૂરજેવાલાએ જણાવ્યું હતું કે, આપણા લોકતંત્રમાં બંધારણ જ સર્વોચ્ચ છે. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન કે રાજ્યપાલ કોઇ પણ વ્યક્તિ બંધારણીય મર્યાદાથી ઉપર હોઇ શકે નહીં. સૂરજેવાલાએ સુપ્રીમ કોર્ટના એ નિર્ણયને પણ આવકાર્યો હતો, જેમાં રાષ્ટ્રપતિને રાજ્યપાલો દ્વારા રોકવામાં આવેલા ખરડાઓ પર ત્રણ મહિનામાં નિર્ણય લેવાનો નિર્દેશ અપાયો હતો. તૃણમૂલ સાંસદ કલ્યાણ બેનરજીએ ઉપરાષ્ટ્રપતિના નિવેદનને `બેહદ આપત્તિજનક' ગણાવીને કહ્યું હતું કે, તે અદાલતોની અવમાનના સમાન છે. બેનરજીએ કહ્યું કે, ઉપરાષ્ટ્રપતિ જેવા બંધારણીય પદ પર બેસેલી વ્યક્તિ પાસેથી એવી અપેક્ષા હોય કે, તેઓ બાકીની બંધારણીય સંસ્થાઓનું સન્માન કરે તેમની વારંવાર ઉપેક્ષા કરે નહીં. સુપ્રીમ કોર્ટ દ્વારા રાષ્ટ્રપતિને લગતા આદેશ અંગે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના નિવેદન અંગે વરિષ્ઠ વકીલ અને રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે નારાજગી વ્યક્ત કરી હતી. સિબ્બલે ધનખડ પર નિશાન સાધતાં કહ્યું કે, ઉપરાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ વિશે જાણ હોવી જોઈએ, જેમને મંત્રીઓની સહાયતા અને સલાહ પર કામ કરવાનું હોય છે. સુપ્રીમ કોર્ટ બાર એસોસીએશનના અધ્યક્ષ સિબ્બલે કહ્યું હતું કે, રાજ્યપાલો દ્વારા ખરડાને રોકવા વાસ્તવમાં વિધાનમંડળની સર્વોચ્ચતામાં દખલ છે. રાષ્ટ્રપતિની શક્તિઓને કઈ રીતે ઓછી કરી શકાય તેવો સવાલ ઉઠાવનારા ધનખડને આ બાબતની જાણ હોવી જોઈએ, પરંતુ શક્તિઓને ઓછી કોણ કરી રહ્યું છે? એક પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું હતું કે, ધનખડે કહી દીધું કે, કલમ 142 પરમાણુ મિસાઈલ છે તેવું ધનખડ કઈ રીતે કહી શકે? તેમને ખબર હોવી જોઈએ કે કલમ-142 હેઠળ બંધારણે સુપ્રીમ કોર્ટને હક આપ્યો છે કોઈ સરકારે નહીં. દરમ્યાન, ઉપરાષ્ટ્રપતિનો બચાવ કરતાં ભાજપે વિપક્ષો પર પલટવાર કર્યો હતો. પક્ષના પ્રવક્તા સહજાદ પુનાવાલાએ કહ્યું કે, અમને  એ પક્ષ પાસેથી બંધારણીય મર્યાદા શીખવાની જરૂર નથી, જે કહેતો હોય કે, તે સંસદ દ્વારા પસાર કાયદો લાગુ કરશે નહીં. ઉપરાષ્ટ્રપતિ પદનો મજાક ઉડાવતો હોયવોટબેન્કના રાજકારણના નામે તોફાનીઓને બચાવતો હોય અને બંગાળમાં હિન્દુ પીડિતોને મળવાનો તેમની પાસે સમય નથી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd