નવી દિલ્હી, તા. 27 : ગ્રામીણ વિકાસ યોજનાઓ માટે દર વર્ષે ભરપુર બજેટ ફાળવવામાં આવતું
હોવા છતાં પણ જમીન ઉપર યોજનાઓ અપેક્ષિત ગતિ પકડી શકતી નથી. ગ્રામીણ વિકસ અને પંચાયતીરાજથી
સંબંધિત સંસદની સ્થાયી સમિતિએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે ગ્રામીણ વિકાસની કેન્દ્રીય
યોજનાઓ માટે 2024-25મા બજેટનું જે સંશોધિત અનુમાન
રાખવામાં આવ્યું હતું તેમાંથી 34.82 ટકા ભંડોળ
ખર્ચ થઈ શક્યું નથી !.મંત્રાલયે આ પરિસ્થિતિ પાછળના ઘણા કારણ બતાવ્યા છે. જો કે સમિતિએ
ચિંતા વ્યક્ત કરતા સરકારને જમીન ઉપર સક્રિય અમલવારી અને સતત દેખરેખની સલાહ આપી છે.
સંસદીય સમિતિ અનુસાર 2024-25ના
સંશોધિત બજેટમાં ફાળવવામાં આવેલા 1,73,804.01 કરોડ રૂપિયાની સામે વાસ્તવિક ખર્ચ માત્ર 1,13,284.55 કરોડ રૂપિયા રહ્યો હતો. જે
સંશોધિત અનુમાનના તબક્કામાં ફાળવવામાં આવેલી રકમથી 34.82 ટકા ઓછો છે. આર્થિક સમીક્ષા અનુસાર પીએમ આવાસ યોજના (ગ્રામીણ)ના
15,825.35 કરોડ રૂપિયા, પીએમ ગ્રામ સડક યોજનાના 3545.77 કરોડ રૂપિયા, નેશનલ સોશિયલ આસિસ્ટન્ટ પ્રોગ્રામના 1813.34 કરોડ રૂપિયા, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનના 2583.16 કરોડ રૂપિયા, મનરેગાના 1627.65 કરોડ અને દીનદયાળ ઉપાધ્યાય-ગ્રામીણ
કૌશલ્ય યોજનાના 1313.43 કરોડ
રૂપિયા વર્ષ 2024-25મા ખર્ચ થઈ શક્યા નહોતા.