ભુજ, તા. 30 : લગ્ન કરવાની લાલચ આપી શહેરની
સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યાના કેસમાં અદાલતે આરોપીને નિર્દોષ જાહેર કર્યો છે. આ કેસની ટૂંકી વિગતો મુજબ
ફરિયાદીની સગીર વયની દીકરીને આરોપી અશ્વિન
હજારભાઇ નગવાડિયા (રહે. ભુજ)એ લગ્નની લાલચ આપી અપહરણ કરી લઇ જઇ અવારનવાર શરીર સંબંધ
બાંધી દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાયા બાદ તપાસના અંતે કોર્ટમાં ચાર્જશીટ દાખલ
થતાં આ કેસમાં સ્પે. સેશન્સ અદાલતે નિર્દોષ જાહેર કર્યો હતો. આરોપી પક્ષે એડવોકેટ કે.પી.
ગઢવી હાજર રહી દલીલો કરી હતી. - ગાંજા કેસમાં
જામીન મંજૂર : માદક પદાર્થ
ગાંજાના જથ્થા સાથે આરોપી ધનજી ખીમજી વેકરિયા
પકડાઇ જતાં માનકૂવા પોલીસ મથકે દાખલ થયેલા આ કેસમાં આરોપી આ જ પ્રકારના ગુના કામે અગાઉ પકડાયો છે અને તે ગાંજો રાખવા તથા
તેના સેવનની ટેવવાળો હોવાથી તેના ગુનાહિત ઇતિહાસને ધ્યાને લઇ જામીન ઉપર મુક્ત કરવો ન જોઇએ તેવી સરકાર
દ્વારા દલીલ કરવામાં આવી હતી, જ્યારે
બચાવ પક્ષે આરોપીના વકીલે ઉચ્ચ અદાલતોના વિવિધ ચુકાદાઓ ટાંકી માત્ર ગુનાહિત ઇતિહાસ
એ જામીન નકારવા માટેનું કારણ બની શકે નહીં
પરંતુ આરોપીની કોર્ટ સમક્ષની હાજરી સુનિશ્ચિત થતી હોય અને આરોપી તે માટે બાંહેધરી આપતો
હોય ત્યારે તેને જામીન ઉપર મુક્ત કરવો જોઇએ. કોર્ટે આરોપીના જામીન મંજૂર કર્યા હતા.
આરોપીના વકીલ તરીકે દેવાયત એન. બારોટ, ખીમરાજ એન. ગઢવી,
ઉમૈર સુમરા, રામ ગઢવી, રાજેશ
ગઢવી, ખુશાલ મહેશ્વરી, જય કટુઆ,
અંકિત ભાનુશાલી, નિરંજન સાધુ હાજર રહ્યા હતા. - જખણિયા : ઘર સામેના ગેરકાયદે
છાપરાં-બારીઓ દૂર કરવા હુકમ : જખણિયા ગામે
રામજી વેલા સંગારના ઘર તથા વરંડા સામે રહેતા જયંતી જખુ સંગાર દ્વારા છાપરાંનું બાંધકામ
કરતાં તે છાપરાંના નેવા રામજીના વરંડામાં પડે તેમ મૂકવામાં તેમજ બારીઓ પણ વાદી રામજીના
ઘર સામે નાખવામાં આવતાં રામજી દ્વારા માંડવીની સિવિલ કોર્ટમાં આ નેવાં તથા બારીઓ દૂર
કરવા બાબતનો દાવો દાખલ કરતાં કોર્ટે આ કૃત્ય ગેરકાયદેસરનું ઠરાવી જયંતી દ્વારા નાખેલ
બારીઓ તથા પાણીનાં નેવાં દૂર કરવા એટલે તોડી પાડવાનો હુકમ કર્યો છે. વાદી તરફે એડવોકેટ પુપુલ એસ. સંગાર
હાજર રહ્યા હતા. - મીઠીરોહરના
લેન્ડ ગ્રેબિંગમાં જામીન મંજૂર : ગાંધીધામના મીઠીરોહરના રે.સ.નં. 553 પૈકીવાળી મિલકત આરોપીઓ કાસમ
લધા સોઢા, હવાબાઇ લધા સોઢા, નુરબાઇ
લધા સોઢા અને ફાતમાબાઇ લધા સોઢાએ પચાવી પાડયાના આક્ષેપવાળી લેન્ડ ગ્રેબિંગ તળે ફરિયાદ
થઇ હતી. જેના અનુસંધાને તમામ આરોપીઓએ સ્પે. સેશન્સ જજ (લેન્ડ ગ્રેબિંગ)ની કોર્ટમાં
જામીન અરજી દાખલ કરતાં બંને પક્ષકારોની દલીલો સાંભળી કોર્ટે આરોપીઓના જામીન મંજૂર કર્યા
હતા. આરોપી તરફ વકીલ મોઇનુદ્દીન એ. સૈયદ, એમ. એલ. મણિયાર,
નિઝાર એમ. ભાંભવાણી, આસિફ ડી. માંજોઠી હાજર રહ્યા
હતા.