ગાંધીધામ, તા. 15 : અંજાર તાલુકાનાં વરસામેડી નજીક પગે જતા
પંકજ દેબેશ્વર મોહન ખનીકર (ઉ.વ. 23)ને અજાણ્યા
વાહને હડફેટે લેતાં તેનું મોત થયું હતું. બીજી બાજુ ગાંધીધામના જવાહરનગરમાં ત્રીજા
માળેથી નીચે પટકાતાં ધનેશ બર્મન અમૃતલાલ બર્મન (ઉ.વ. પપ)એ જીવ ખોયો હતો તેમજ ગાંધીધામની
નૂરી મસ્જિદ નજીકથી અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી. વરસામેડીમાં કમલ ટિમ્બરમાં કામ
કરી ત્યાં જ શ્રમિક વસાહતમાં રહેનાર પંકજ નામના યુવાનને ગત તા. 13/4ના રાત્રિના ભાગે અકસ્માત નડયો
હતો. આ યુવાન વીડિયોકોન કંપની નજીકથી પગપાળા જઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહનના
ચાલકે તેને હડફેટમાં લેતાં આ યુવાનને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. તેને સારવાર
અર્થે લઈ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. હિટ એન્ડ રનના આ બનાવ અંગે
યુવાનના પિતા દેબેશ્વર ખનીકરે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બીજી બાજુ જવાહરનગરના
ઓ.પી. ઈન્ટરનેશનલ ટિમ્બરમાં અપમૃત્યુનો બનાવ બન્યો હતો. અહીં રહી કામ કરનાર ધનેશ બર્મન
નામના આધેડ મકાનના ત્રીજા માળે હતા, ત્યાંથી કોઈ કારણોસર નીચે પટકાતાં આ આધેડને ગંભીર ઈજાઓ પહોંચી હતી,
જેમાં તેમણે જીવ ખોયો હતો. તેમણે આત્મહત્યા કરી હતી કે અકસ્માતે પડી
ગયા હતા કે અન્ય કાંઈ છે ? તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે
તેમજ ગાંધીધામની નૂરી મસ્જિદ શ્રીજી ડીઝલની બાજુમાંથી ગઈકાલે બપોરે યુવાનની લાશ મળી
આવી હતી. 40થી 4પ વર્ષીય આ યુવાનનું મોત કુદરતી રીતે થયું
હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ગરમીના કારણે કે અન્ય કોઈ કારણે તેનું મોત
થયું હશે તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.