• ગુરુવાર, 01 મે, 2025

મેઘપર (બો)માં મકાનનો સોદો કરી દસ્તાવેજ ન આપતાં ફરિયાદ

ગાંધીધામ, તા. 15 : અંજાર તાલુકાનાં મેઘપર બોરીચીની સોસાયટીમાં મકાન અંગે સોદો કરી, સાટાકરાર કરી રૂા. ત્રણ લાખ મેળવી લઇ બાદમાં દસ્તાવેજ માટે કાગળિયા ન આપી રૂપિયા પરત ન આપતાં શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. ગાંધીધામના 9-બી વિસ્તારમાં રહી યોગા શિક્ષક તરીકે કામ કરનાર ત્રિપ્તીસિંઘ અરવિંદાસિંઘએ બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. તેમના પરિવારને નવું મકાન લેવું હોવાથી તેમણે નવિન દિલીપ ગઢવીને વાત કરી હતી. તેમણે મેઘપર બોરીચી રાધેક્રિષ્ના સોસાયટીમાં મકાન બતાવ્યું હતું. જે ફરિયાદી અને તેમના પરિવારજનોને પસંદ આવતા રૂા. 22,31,000માં સોદો નક્કી થયો હતો, જે અંગે સુથી પેટે રૂા. 51,000 મકાન માલિક એવા આરોપી રવિ ભીમજી લોખિલને આપવામાં આવ્યા હતા. બાદમાં આરોપીએ વધુ રકમ માગતાં રોકડા રૂા. 2,09,000 તથા 40,000 ઓનલાઇન આપવામાં આવ્યા, છતાં બાદમાં સાટાકરાર અંગેનું લખાણ કરાયું હતું. ફરિયાદીને મકાન ઉપર લોન લેવાની હોવાથી તેમણે આરોપી પાસે દસ્તાવેજના કાગળોની માંગ કરી હતી. જે કાગળ પૂરા ન આપતાં ફરિયાદીની લોન થઇ શકી નહોતી. બાદમાં ફરિયાદીએ દસ્તાવેજ પૂરા આપવા અથવા સોદો રદ કરવાનું કહેતા આરોપીએ સોદો રદ કર્યો હતો અને તેમના નીકળતા રૂા. ત્રણ લાખ પરત આપ્યા ન હોતા. વિશ્વાસઘાત, ઠગાઇના આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ  ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd