નાની ખાખરમાં ગુજરાતના પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટે ચેસ સ્પર્ધા યોજાઇ

કોડાય, તા. 4 : વિકલાંગ જીવન વિકાસ મંડળ નાની ખાખર અને નેત્રહીન ચેસ એસોસીએશનના સંયુકત ઉપક્રમે બેદિવસીય નેત્રહીન ચેસ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતભરના સાઇઠ જેઠલા નેત્રહીન ખેલાડીઓએ ભાગ લીધો હતો. સંસ્થાના ઉપપ્રમુખ હરિભાઇ પટેલનાં અધ્યક્ષ સ્થાને ટૂર્નામેન્ટનો પ્રારંભ દીપ પ્રાગટયથી કરાવવામા આવ્યો હતો. મુખ્ય અતિથિ તરીકે હરેશભાઈ છભાડિયા તથા અન્ય મહેમાનો તેમજ સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. નેત્રહીન ચેસ ટૂર્નામેન્ટની પૂર્ણાહુતિ અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મુખ્ય અતિથિ તરીકે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એન.એસ. ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ભૂપેન્દ્રભાઇ મહેતા, જયેશભાઇ ચૌહાણ, કમલેશભાઇ દેવગન, નેત્રહીન ચેસ એસોસીએશનના મંત્રી વિરલ ત્રિવેદી, સંસ્થાના ઉપપ્રમુખ હીરાલાલભાઇ ઉકાણી, મંત્રી હોથુજી જાડેજા, રણછોડ પટેલ, કેતન સોલંકી, અજિતસિંહ સમા, નવલસિંહ જાડેજા, રામજીભાઇ ચાવડા, માનસંગજી સોઢા, હસનઅલી ખોજા, ખેતશીભાઇ ચંદે વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. નેત્રહીન ચેસ ટૂર્નામેન્ટના એકથી દસ નંબરના વિજેતાઓને રોકડ રકમ રૂપે ઇનામો આપવામાં આવ્યાં હતાં. ભાગ લેનાર તમામ નેત્રહીન ખેલાડીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી પ્રોત્સાહન ઇનામોમાં કોલેજ બેગ તેમજ ગરમ શાલ આપવામાં આવી હતી. ટૂર્નામેન્ટ દરમ્યાન ઓર્બિટર તરીકે દીપ ચાવડા તેમજ વોલિન્ટીયર તરીકે ક્રિષ્નાબેન અને કુલદીપભાઇ વગેરેએ સેવા આપી હતી.