માંડવી લોહાણા બોર્ડિંગના નેત્રયજ્ઞમાં એકસાથે 12 કેમ્પ માટે દાતાઓ જાહેર

માંડવી, તા. 4 : માંડવી લોહાણા બોર્ડિંગના નેત્રયજ્ઞ માટે એકસાથે 12 કેમ્પ બુક કરવા દાતાઓ આગળ આવ્યા હતા. જિ.પં.ની આયુર્વેદિક શાખા દ્વારા માંડવી તાલુકામાં જે હઠીલા રોગો હોય તેની સારવાર અને એક માસની નિ:શુલ્ક દવા આપવામાં આવે છે. તેની સાથે નેત્રયજ્ઞ રાજકોટના પૂ. રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલના તરફથી કરવામાં આવે છે. તેની સાથે હોમિયોપેથિકનો કેંમ્પ પણ કરવામાં આવે છે. આ કેમ્પમાં અચલગચ્છ જૈન સંઘના ચાતુર્માસ નિમિતે્ માંડવી ખાતે ઉપસ્થિત અચલગચ્છ મુનિવર્ય રાજરત્નસાગરજી મ.સા. આ કેમ્પમાં દર્દીઓને નિરોગી સ્વાસ્થ્ય માટે આશિષ આપી લોહાણા બોર્ડિંગના પ્રમુખ હરિશભાઈ ગણાત્રા અને ટીમના સેવા કાર્યો બિરદાવી અને દરેકના દીર્ઘાયુ માટે તેમણે પ્રાર્થના કરી હતી. મુનિરાજ પ્રિયંકરસાગરજી મ.સા.એ આંખના કેમ્પના આયોજનથી પ્રભાવિત થઈ સંસ્થા તરફથી 12 નેત્રયજ્ઞના કેમ્પો યોજવા માટેની જાહેરાત કરી હતી અને બાકીના અગિયાર નામ મહારાજશ્રી તરફથી આપવામાં આવશે. એક વર્ષના બાર કેમ્પ એકસાથે નોંધાયા હોય તેવી ઐતિહાસિક ઘટના બની હતી. 2025ના નવેમ્બર માસ સુધીના ત્રણ વર્ષ ઉપરાંતના મેડિલ કેમ્પોના દાતાઓ અગાઉથી નોંધાયા હોઈ નવા કેમ્પ 2026થી બુક થશે. આ ઉપરાંત માંડવીના રસીલાબેન મંગલદાસ ઠક્કર તથા શોભનાબેન શાહ અને એડવોકેટ ઉદયભાઈ શાહ તરફથી દર વર્ષે એક એક કેમ્પ તેમના તરફથી કાયમી દાતા તરીકે બુક કરાવવામાં આવ્યો છે. આ અંગે સંસ્થાના મેડિકલ કન્વીનર શશિકાંતભાઈ ચંદેએ તમામ દાતાઓનો ઋણ સ્વીકાર અને આભારની લાગણી વ્યકત કરી હતી. આ કેમ્પમાં દિનેશભાઈ કોટક, મહેન્દ્રભાઈ ચોથાણી, મૌલિકભાઈ ચંદારાણા, નેહલભાઈ ગણાત્રા, નીલેશ ઠક્કર, ચિંતન ઠક્કર, જયસુખ રાઠોડ, રામજીભાઈ ઠક્કર, બહાદુરસિંહ જાડેજા, હંસરાજ માલમ, શંકરભાઈ ખારવા, દિનકરભાઈ જોશી હાજર રહ્યા હતા. સંચાલન જયેશભાઈ સોમૈયાએ અને હસમુખભાઈ ઠક્કરે આભારવિધિ કરી હતી.