ઠારથી ઠૂંઠવાતા કચ્છને રાહત મળવાનો વર્તારો
ભુજ, તા. 28 : છેલ્લા એક અઠવાડિયા કરતાં પણ વધુ સમયથી તીવ્ર ઠારમાં ઠૂંઠવાતા કચ્છને હવે ઠંડીના આ આકરા ચમકારામાંથી રાહત મળે તેવો વર્તારો હવામાન વિભાગ દ્વારા અપાયો છે.શીતલહેરની કોઇ ચેતવણી હવામાન વિભાગે જાહેર કરી નથી, તો એક દિવસ બાદ લઘુતમ તાપમાન બેથી ચાર ડિગ્રી ઊંચકાવાની શક્યતા વ્યકત કરાઇ છે.5.2 ડિગ્રીએ નલિયા વધુ એક દિવસ રાજ્યનું મોખરાનું શીતમથક બન્યું હતું. જિલ્લા મથક ભુજ 9.8 તો કંડલા (અ)માં 9.4 ડિગ્રીએ અટકેલા લઘુતમ પારાએ અંજાર, ગાંધીધામ સંકુલને ઠારની તીવ્ર અનુભૂતિ કરાવી હતી.પવનની ગતિ થોડી ધીમી પડતાં દિવસના ભાગે ઠંડીમાંથી મળેલી રાહત સાંજ ઢળતાં જ છેતરામણી પુરવાર થઇ હતી. લોકોને મોડી સાંજ પછી નખશિખ ગરમ વત્રો પહેરવાની ફરજ પડી હતી. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ક્રમશ: લઘુતમ પારો ઊંચકાયા બાદ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતાં ઝાકળવર્ષાનો પ્રભાવ વધે તેવી શક્યતા દેખાડવામાં આવી છે.