ભારતની સામે તેના અવિકસિત અને અશાંત પડોશી દેશો તરફથી ઘૂસણખોરીની અને ગેરકાયદે વસાહતીઓની સમસ્યા સતત વધતી રહી છે. આમાં ખાસ કરીને પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગલાદેશથી ઉચાળા ભરીને આવેલા તે દેશોના લઘુમતી સમુદાયના સભ્યોની હાલત ભારે દારુણ રહી છે. આવા બિનમુસ્લિમ લોકોને દેશની નાગરિક્તા આપતા ખરડાને હવે કેન્દ્રીય મંત્રીમંડળે બહાલી આપી દીધી છે. જો કે, આ પ્રસ્તાવિત ખરડાના ઉદ્દેશ સામે વિરોધ જાગી રહ્યો છે. આ ખરડાનાં તમામ પાસાં હજી જાહેર કરાયાં નથી, પણ જે પ્રાથમિક વિગતો ઉપલબ્ધ છે તેને આગળ ધરીને વિરોધપક્ષો સરકાર પર પસ્તાળ પાડવા મેદાને પડયા છે. વિપક્ષનો એવો આરોપ છે કે સરકાર આ ખરડાનો ઉપયોગ કરીને લઘુમતી મુસ્લિમ સમાજની ઉપર શિકંજો કસવાનો પ્રયાસ કરી રહી છે. જો કે, સરકારનું બચાવમાં એવું વલણ છે કે આ ત્રણ દેશમાં મુસ્લિમ બહુમતી છે અને બિનમુસ્લિમ નાગરિકોની ઉપર અત્યાચાર થતા રહે છે. આ માટે આ બિનમુસ્લિમ હિજરતીઓને સલામતી પૂરી પાડવી એ આપણી ફરજ છે. વળી તે દેશોમાંથી જે મુસ્લિમ હિજરતીઓ આવ્યા છે તેમને તેમના દેશમાં પરત મોકલવામાં તેમની સલામતીની સામે કોઇ જોખમ ન હોવાનું પણ સરકારનું કહેવું છે. જો કે, વિપક્ષના ગળે આ વાત ઊતરતી નથી. હકીકત એ છે કે ઉત્તર પૂર્વનાં રાજ્યોમાં રાષ્ટ્રીય નાગરિક્તા નોંધણી (એનઆરસી)ના અમલની જે રીતે કાર્યવાહી ચાલી રહી છે તેનાથી સંખ્યાબંધ લોકો નાગરિક્તા ગુમાવે એવો ભય ઊભો થયો છે. ઘણી પેઢીથી ભારતમાં રહેનારાઓ અમુક દસ્તાવેજોના અભાવમાં નાગરિક્તા સાબિત કરવામાં વિફળ જઇ રહ્યા છે. વળી આ સંદર્ભમાં અમુક નિવેદનો પણ થવા લાગ્યાં છે, જેનાથી એવો ભ્રમ ઊભો થઇ રહ્યો છે કે સરકાર માત્ર લઘુમતી નિરાશ્રિતોને જ દેશની બહાર ધકેલવાનો ઇરાદો ધરાવે છે. પરંતુ આ ત્રણે દેશમાંથી નિરાશ્રિતોની સાથે આતંકવાદી ઘૂસણખોરી કરતા હોવાને લીધે સરકારને એનઆરસીનું પગલું લેવાની ફરજ પડી છે. આમ તો આસામથી આ સમસ્યાનો આરંભ થયો હતો. 1980ના દાયકામાં ગેરકાયદે વસાહતીઓના મામલે ઓલ આસામ સ્ટુડન્ટસ યુનિયન (આસુ)એ આંદોલન છેડયું હતું. 1985માં આસામ સમજૂતી થઇ તેના બે દાયકા બાદ 2005માં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને આસુ વચ્ચે આસામના નાગરિકોના દસ્તાવેજીકરણ પર સહમતી સધાઇ હતી. આ સહમતીમાં અદાલતની દરમ્યાનગીરીને પગલે તેને વધુ વ્યવસ્થિત સ્વરૂપ મળ્યું હતું. તે પછી એમ નક્કી થયું હતું કે 1971 બાદ આવેલા તમામ નિરાશ્રિતોને તેમના દેશ પરત મોકલાશે. હવે નવા ખરડા મુજબ સરકાર બિનમુસ્લિમ નિરાશ્રિતોને છ વર્ષના રહેણાક બાદ નાગરિક્તા આપવાની દરખાસ્ત ધરાવે છે. આનાથી લઘુમતી નિરાશ્રિતોમાં ભય અને રોષની લાગણી જાગી છે તો તેની સાથોસાથ આસામના લોકોમાં શંકા જાગી છે કે એનઆરસીને લીધે ઊભી થયેલી સમસ્યાઓ આ પ્રસ્તાવિત સુધારાને લીધે વધુ વકરશે. આસામના એક મોટા વર્ગનું માનવું છે કે તેમની લડાઇ ઘૂસણખોરોને હાંકી કાઢવાની હતી અને ઘૂસણખોરોને કોઇ ધર્મ હોતો નથી. આ જ કારણસર ભાજપના આસામના નેતાઓએ ખરડાની સામે કમર કસી છે, તે ઉપરાંત આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે તો રાજીનામાંની ધમકી સુદ્ધાં આપી છે. હવે જ્યારે સરકાર આ ખરડાને સંસદ સમક્ષ રજૂ કરશે ત્યારે તેના અંકગણિત પર રાજકીય નજર રહેશે. આમ તો લોકસભામાં ભારે બહુમતી ધરાવતા સત્તાધારી એનડીએ માટે ગૃહમાં ખરડો પસાર કરાવી લેવામાં સરળતા રહેશે. સવાલ રાજ્યસભાનો છે, અહીં એનડીએમાં સભ્ય ન હોય એવા અમુક રાજકીય પક્ષોનાં મૌન પરથી જણાય છે કે ત્યાં પણ ખરડો પસાર કરાવવામાં સરકારને ઝાઝી તકલીફ નહીં પડે. જો કે, એ વાત નક્કી છે કે આવનારા સમયમાં આ ખરડો ભારે રાજકીય ગરમાગરમી અને દાવપેચનું કેન્દ્ર બની રહેશે.
ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં ગેરરીતિઓ હવે હદ વળોટી ગઈ છે. સરકાર અને સરકારી તંત્રની નબળાઈઓના કારણે પેપર લીક થાય છે, ગેરરીતિ થાય છે અને એ કારણે લાખો નોકરી વાંચ્છુક યુવાનોને અન્યાય થઇ રહ્યો છે. તાજેતરમાં બિનસચિવાલય કારકૂન અને આસિસ્ટન્ટની પરીક્ષા લેવાઈ, એમાં પેપર લીક થવા ઉપરાંત ગેરરીતિઓ થઇ અને એ સામે અનેક ફરિયાદો છતાં સરકારે એ પ્રત્યે લક્ષ ન આપ્યું અને બાદમાં ગાંધીનગરમાં વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કરી પરીક્ષા રદ કરવાની માગણી કરી ત્યારે સરકારની આંખ ખૂલી. જો કે, પરીક્ષા રદ નહીં જ થાય એવી ચોખવટ પછી હવે સરકારે આ મુદ્દે સીટની રચના કરી છે. ચાર અધિકારીઓની ટીમ દસ દિવસમાં તપાસ કરીને સરકારને અહેવાલ આપશે અને ત્યાં સુધી પસંદગીની પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે. જો કે, વિદ્યાર્થીઓમાં રોષ છે અને તેઓ પરીક્ષા રદ કરવાની માગણી પર અટલ છે. છેલ્લા થોડા વર્ષોમાં સરકારી ભરતીની પરીક્ષામાં પેપર લીક થવાની અને ગેરરીતિના કિસ્સા વધ્યા છે. તલાટીની ભરતીમાં 33 લાખ લોકોએ અરજી કરી હતી પણ એમાં કૌભાંડ નીકળતાં બધું સ્થગિત કરાયું અને આજ સુધી એની કોઈ પ્રક્રિયા હાથ ધરાઈ નથી. એ પછી લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર ફૂટયું અને પરીક્ષા ફરી લેવી પડી. 9713 જગ્યાઓ માટે 8.76 લાખ યુવાનોએ પરીક્ષા આપી હતી. હવે એનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે પણ 1500ના નામ અનામત રાખવામાં આવ્યા છે. ટાટ પરીક્ષામાં પણ આવી જ ફરિયાદ થઇ હતી. અન્ય સરકારી પરીક્ષાઓમાં આવું બન્યું છે. બિનસચિવાલય કારકૂનની જગ્યા માટે લાયકાતના ધોરણો બદલવામાં આવ્યા હતા. એ સામે આંદોલન થયું અને સરકારે જૂની લાયકાત મુજબ પરીક્ષા લીધી. 3900 જગ્યાઓ માટે 10.45 લાખ યુવાનોએ પરીક્ષા આપી. દરેક જિલ્લામાં કેન્દ્ર પરીક્ષા લેવાઈ હતી પણ વોટ્સએપ પર પેપર લીક થયું એવી ફરિયાદો આવી અને એના પુરાવા રજૂ કરવામાં આવ્યા. ક્યાંક અમુક યુવાનોને વધુ સમય પરીક્ષા આપવા દેવાઈ. સુરેન્દ્રનગર, ભાવનગર અને પાલનપુર એમ અનેક જગ્યાએથી ફરિયાદો આવી. ક્યાંક તો પોલીસ ફરિયાદ પણ થઇ છે. સરકારે સ્વીકાર્યું કે 39 ફરિયાદો આવી છે. આટલી બધી ફરિયાદો છતાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એમ કહેવાતું રહ્યું કે પેપર લીક થયું નથી પણ યુવાનો દ્વારા ગાંધીનગરમાં દેખાવો થયા, પરીક્ષા રદ કરવાની માગણી ઊઠી તો સરકારે એના પર દમન કર્યું. પરીક્ષા રદ કરવાની સ્પષ્ટ ના પાડવામાં આવી અને બે દિવસમાં તપાસ થઇ જશે એવું આશ્વાસન આપ્યું અને હવે સીટની રચના કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ સાથે હવે વાત કરવા પણ સરકાર તૈયાર થઇ છે. આવાં પગલાં તાત્કાલિક કેમ ન લેવાયા? એ પ્રશ્નનો જવાબ મળતો નથી. સરકારે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિ અટકે એ માટે કેમ ચુસ્ત પગલાં લેતી નથી? અને ગેરરીતિ માટે જવાબદાર કોણ? સરકારે આ બધા મુદ્દે સંતોષકારક કાર્યવાહી કરવી આવશ્યક છે, કારણ કે આ લાખો યુવાનોના ભવિષ્યનો સવાલ છે.
© 2019 Saurashtra Trust
Developed & Maintain by Webpioneer